ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ – 6 નિયંત્રણ અને સંકલન Intext Questions

std 10 science ch6

ધો.10 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – 6 નિયંત્રણ અને સંકલન (std 10 science ch6) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 119]

std 10 science ch6

પ્રશ્ન 1. પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે?

ઉત્તર : પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે. તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે અને તે પશ્ચમગજના અનુમસ્તિષ્ક ભાગ વડે નિયંત્રિત છે. આ ક્રિયા વ્યક્તિની ઇચ્છા ૫૨ આધારિત છે.

પ્રશ્ન 2. બે ચેતાકોષોની વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે?

ઉત્તર : પાસપાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. અક્ષતંતુ (ચેતાક્ષ)ના છેડે વીજ – આવેગ કેટલાંક રસાયણો મુક્ત કરે છે. આ રસાયણો ચેતોપાગમ પસાર કરે છે અને પછીના ચેતાકોષના શિખાતંતુમાં વીજ – આવેગનો પ્રારંભ થાય છે.

પ્રશ્ન 3. મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે ?

ઉત્તર : મગજનો અનુમસ્તિષ્ક ભાગ શરીરની સ્થિતિ અને સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે.

પ્રશ્ન 4. આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે?

ઉત્તર : આપણા નાકમાં આવેલા ઘ્રાણગ્રાહી એકમો અગરબત્તીની સુવાસથી ઉત્તેજિત થાય છે. તેના કારણે સર્જાતો ઊર્મિવેગ સંવેદી ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થાય છે. આ ઊર્મિવેગ મગજ તરફ વહન પામે છે. બૃહમસ્તિષ્કમાં આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તીની સુવાસની ખબર થાય છે.

પ્રશ્ન 5. પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે?

ઉત્તર : સામાન્ય રીતે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે દર્શાવાય છે અને તેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી. આમ છતાં, પૂર્વવત્ સૂચનાઓ મગજ સુધી જાય છે. કેટલીક પરાવર્તી ક્રિયાઓ જેવી કે, સ્વાદિષ્ટ ખોરક જોતાં મોંમાં પાણી વળવું, હૃદયના ધબકારા, શ્વોસોચ્છવાસ, ઉરોદરપટલનું હલન ચલન, છીંક, બગાસું, આંખના પલકારા વગેરેમાં મગજ સંકળાયેલું છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 122]

std 10 science ch6

પ્રશ્ન 1. વનસ્પતિ અંતઃસ્રાવો એટલે શું?

ઉત્તર : વનસ્પતિ અંતઃસ્રાવો એટલે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં રાસાયણિક સંયોજનો ; જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંક્લન કરે છે.

પ્રશ્ન 2. લજામણીનાં પર્ણોનું હલનચલન, એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે?

ઉત્તર : હલનચલન લજામણીનાં પર્ણોનું હલનચલન:- → આ હલનચલન વૃદ્ધિ આધારિત નથી. → આ હલનચલન ચોક્કસ દિશામાં થતું નથી. → તે ઝડપી હલનચલન છે . → આ હલનચલન માટે સ્પર્શ જવાબદાર છે.

પ્રરોહની પ્રકાશ તરફ ગતિ:- → આ હલનચલન વૃદ્ધિ આધારિત છે. → આ હલનચલન એકદિશીય કે અનુચલન છે. → તે ખૂબ ધીમું હલનચલન છે. → આ હલનચલન માટે ઑક્ઝિન જવાબદાર છે.

પ્રશ્ન 3. એક વૃદ્ધિપ્રેરક વનસ્પતિ અંતઃસ્રાવનું ઉદાહરણ આપો.

ઉત્તર : વૃદ્ધિપ્રેરક વનસ્પતિ અંતઃસ્રાવ:-  ઑક્ઝિન, જીબરેલીન, સાયટોકાઈનીન

પ્રશ્ન 4. કોઈ આધારની ચોતરફ વૃદ્ધિ કરવામાં ઑક્ઝિન કઈ રીતે કૂંપળને મદદરૂપ થાય છે?

ઉત્તર : ઓક્ઝિન વૃદ્ધિપ્રેરક અંતઃસાવ છે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે કૂંપળ આધારના સંપર્કમાં આવે છે ત્યારે આધારથી દૂર રહેલા કૂંપળના ભાગમાં ઓક્ઝિન ઝડપી વૃદ્ધિ પ્રેરે છે. આ કારણે કૂંપળ આધારની ચોતરફ વૃદ્ધિ પામી વીંટળાય છે.

પ્રશ્ન 5. જલાવર્તન દર્શાવતા પ્રયોગની રૂપરેખા તૈયાર કરો. 

ઉત્તર : પાણીની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે. 

પ્રયોગ :- જલાવર્તન દર્શાવવું.

સાધનો :- કાચનાં બે પાત્ર, માટીનો પ્યાલો

પદાર્થો :- માટી, બે છોડ, પાણી

પદ્ધતિ :- કાચનાં બે પાત્ર (A) અને (B) લઈ, તેમાં લગભગ ત્રીજા ભાગ સુધી માટી ભરો. બંને પાત્રમાં એક જ વનસ્પતિની બે સરખી કલમ રોપો. પાત્ર (A) ની માટી ભેજયુક્ત અને પાત્ર (B) ની માટી સૂકી રાખો. પરંતુ પાત્ર (B) માં પાણી ભરેલો માટીનો પ્યાલો આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવો. પાત્ર (A) માં દરરોજ થોડું પાણી ઉમેરો. પાત્ર (B) માં પાણી ઉમેરવાનું નથી. એક અઠવાડિયા પછી બંને પાત્રની માટી કાળજીપૂર્વક ખોદો અને અવલોકન તથા તારણ નોંધો.

અવલોકન :- પાત્ર (A) માં મૂળ સીધી વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે પાત્ર (B) માં મૂળ પાણી ભરેલા માટીના પ્યાલા તરફ વળે છે.

તારણ :- આ પરથી નક્કી કરી શકાય કે, મૂળની લંબાઈમાં વૃદ્ધિ પાણીના સ્રોતની દિશામાં થાય છે. અર્થાત્ મૂળ ધન જલાવર્તન દર્શાવે છે.

Intext પ્રશ્નોત્તર [ પા.પુ. પાના નં . 125 ]

std 10 science ch6

પ્રશ્ન 1. પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે?

ઉત્તર :- પ્રાણીઓમાં અંતઃસ્રાવી ગ્રંથિઓ ચોક્કસ માત્રામાં રાસાયણિક સંયોજનો અંતઃસ્રાવોનો સ્રાવ કરે છે. અંતઃસ્રાવો સીધા રુધિરમાં ભળી જઈ, રુધિર પરિવહન દ્વારા તેમના લક્ષ્ય (કાર્ય) સ્થાન સુધી પહોંચે છે. શરીરના ચોક્કસ કોષો અંતઃસાવ સાથે જોડાણ કરવા વિશિષ્ટ ગ્રાહી અણુઓ ધરાવે છે. અંતઃસ્રાવ આ અણુ સાથે જોડાઈ માહિતીનું વહન કરે છે. આ રીતે પ્રાણીઓમાં રાસાયણિક સંક્લન થાય છે.

પ્રશ્ન 2. આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે?

ઉત્તર :- થાઇરૉઇડ ગ્રંથિમાંથી થાઇરૉક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. તે આયોડિનયુક્ત અંતઃસ્રાવ છે. આયોડિનની ઊણપથી થાઇરૉક્સિન અંતઃસ્રાવ બનતો નથી. તેના પરિણામે થાઇરૉઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારો થાય છે. ગળાનો ભાગ ફૂલી જાય છે અને ગૉઇટર રોગ થાય છે. આયોડિનયુક્ત મીઠું થાઇરૉઇડ ગ્રંથિમાં થાઇરૉક્સિનના સંશ્લેષણ માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે છે. આથી ગોઇટરથી બચવા આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ  આપવામાં આવે છે.

પ્રશ્ન 3. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે?

ઉત્તર :- એડ્રીનાલિન અંતઃસ્રાવ આપણા શરીરને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે છે. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે શરીરમાં નીચેના પ્રતિચાર દર્શાવાય છે. હૃદયના ધબકારા ઝડપી થાય, શ્વાસોચ્છ્વાસનો દર વધે, રુધિરના દબાણમાં વધારો થાય, કંકાલસ્નાયુ વધારે સક્રિય બને, વગેરે. આ બધાને ‘લડવાની કે દોડવાની ક્રિયાના’ પ્રતિભાવ કહે છે.

પ્રશ્ન 4. મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે?

ઉત્તર :- માનવશરીરના રુધિરમાં શર્કરા (ગ્લુકોઝ) નું નિયત પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. મધુપ્રમેહ (ડાયાબિટીસ) ના દર્દીમાં ઇન્સ્યુલિનની ઊણપને લીધે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય છે. રુધિરમાં શર્કરાનું વધારે પ્રમાણ અનેક હાનિકારક અસરોનું કારણ બને છે. આ હાનિકારક અસરોથી દર્દીને બચાવવા રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન જરૂરી બને છે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. આથી મધુપ્રમેહ (ડાયાબિટીસ) ના દર્દીને ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન આપવામાં આવે છે.


std 10 science ch6

વિચાર વિસ્તાર અને નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3

Plz share this post

Leave a Reply