Std 10 Science imp – SECTION D Part-1

Std 10 Science imp - SECTION D Part-1

ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ D)મા std-10-science-imp બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

અહીયા પ્રકરણ – 2,6 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

પ્રકરણ – 4,11,13 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

PDF FILE ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

પ્રકરણ – 2 એસિડ, બેઇઝ અને ક્ષાર

(1) ટૂંકનોંધ લખો. બેકિંગ સોડા(ખાવાનો સોડા—NaHCO3) અથવા બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો લખો.

ઉત્તર :- બનાવટ :- સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં CO2(g) અને NH3(g) પસાર કરતા બેકિંગ સોડા બને છે.

NaCl(aq)+H2O(l)+CO2(g)+NH3(g) →  NH4Cl(aq)+NaHCO3(aq)

સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે.

Na2CO3(aq)+H2O(l)+CO2(g) →  2NaHCO3(aq)

બેકિંગ સોડાનુ રાસાયણિક નામ સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ છે.

ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબ પ્રક્રિયા થાય છે અને સોડિયમ કાર્બોનેટ બને છે.

2NaHCO3(s) → Na2CO3(s)+H2O(l)+CO2(g)      

ઉપયોગો:- → તેને ગરમ કરવામાં આવે ત્યારે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદભવતા CO2 વાયુને લીધે પાઉં,કેક તથા ભજીયા ફૂલે છે પરિણામે તે નરમ અને પોચા બને છે. → એસિડિટીમાં રાહત મેળવવા એન્ટાસિડ તરીકે. → સોડા ઍસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા. → ચેપ નાશક તરીકે → પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. → ઘરગથ્થુ ઉપયોગ તરીકે

(2) ટૂંકનોંધ લખો. ધોવાનો સોડા (વોશિંગ સોડા – Na2CO3.10H2O) અથવા ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો લખો.

ઉત્તર :- બનાવટ :- બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે.

2NaHCO3(s) → Na2CO3(s)+H2O(l)+CO2(g)

સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફ્ટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે.

Na2CO3(s)+10H2O(l) →  Na2CO3.10H2O(s)

ઉપયોગો:- → કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં. →બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં. →ઘરમાં સફાઈકર્તાતરીકે. →પાણીની સ્થાયી કઠિનતાદૂર કરવા માટે. →કાગળ અને કાપડ ઉદ્યોગમાં. →પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે

(3) ટૂંકનોંધ લખો. વિરંજન પાવડર (બ્લીચિંગ પાઉડર) અથવા બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો લખો.

ઉત્તર :- બનાવટ: ક્લોરિનની શુષ્ક ફોડેલા ચૂના(Ca(OH)2 ) સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાઉડર બને છે.

Cl2+Ca(OH)→ CaOCl2 +H2O          

વિરંજન પાઉડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે. જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ છે.

વિરંજન પાઉડરનો ઉપયોગ:- →ટેક્સટાઈલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે. → કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે. → લોન્ડ્રીમાં ધોયેલા કપડાંના વિરંજન માટે. → અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કર્તા તરીકે. → પીવાના પાણીને જંતુરહિત કરવા જંતુનાશક તરીકે.

(4) ટૂંકનોંધ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અથવા પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગ લખો.

ઉત્તર :- બનાવટ:- જ્યારે જીપ્સમ (ચિરોડી) ને 373 K તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે.

CaSO4.2H2O(s) → CaSO4.½H2O(s)+1½ H2O(g)

 જિપ્સમ                        પ્લાસ્ટર ઓફ પેરિસ

આમ, પ્લાસ્ટર ઓફ પેરિસ કેલ્શિયમ સલ્ફેટનો હેમી (અડધો) હાઈડ્રેટ છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાઉડર છે.પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે.

CaSO4 .½H2O (s)+1½ H2O(g) → CaSO4.2H2O(s)

પ્લાસ્ટર ઓફ પેરિસ                                    જિપ્સમ    

ઉપયોગો:- → બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં થાય છે. → ફ્રેકચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે. → દાંતના ચોકઠા માટેના બીબાં બનાવવા માટે. →રમકડા અને પૂતળા બનાવવા માટે. → બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે. → પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે.

(5) સોડીયમ હાઇડ્રોક્સાઇડ્ના ઉત્પાદન માટેની ક્લોર આલ્કલી ક્રિયા અને ઉપયોગ લખો. અથવા ટૂંકનોંધ લખો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ (NaOH)

ઉત્તર :- બનાવટ:- સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરતા એનોડ પાસે ક્લોરિન વાયુ મુક્ત થાય છે. જ્યારે કેથોડ પાસે હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે. તથા દ્રાવણમાં સોડિયમ હાઈડ્રોક્સાઈડ બને છે.

2NaCl(aq)+2H2O → 2NaOH(aq)+Cl2(g)+H2(g)                  

આ પદ્ધતિને ક્લોર આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખાય છે. કારણ કે તેમાં ઉત્પન્ન થતી નીપજો ક્લોર એટલે ક્લોરિન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે.

ઉપયોગો:- → ધાતુ ઉપરથી ગ્રીસ દૂર કરવા માટે → સાબુની બનાવટમાં. → પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. → સુતરાઉ કાપડને સુંવાળું બનાવવા. → પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે.

(6) દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજાવો.

ઉત્તર :- 

સજીવના અસ્તિત્વમાં pHનું મહત્વ:-

સામાન્ય રીતે માનવ શરીરમાં થતી  દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 8 pHની મર્યાદામાં થાય છે. જો આ pHમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે.

સામાન્ય પાણીની pH લગભગ 7 હોય છે જ્યારે વરસાદી પાણીની pH લગભગ 5.6ની આસપાસ હોય છે.જે વરસાદની pH 5.6 કરતા ઓછી હોય તેવા વરસાદને એસિડવર્ષા કહે છે.એસિડવર્ષાનું પાણી જ્યારે નદી, તળાવ કે જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની pH ઘટે છે. પરિણામે આ જળાશયોની માછલીઓ, સૂક્ષ્મ જીવો અને જલજ વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમાય છે.

જમીનમાં pHનું મહત્વ:-

વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH મર્યાદા ની જરૂરિયાત હોય છે.

જે જમીનની pH 6.5 થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઈમ(CaO) ઉમેરે છે. અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જિપ્સમ(CaSO4.2H2O) ઉમેરે છે.

પાચનતંત્રમાં pHનું મહત્વ:-

ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને એસિડિટી કહે છે.

એસિડિટીના ઉપચાર માટે બેઇઝનો ઉપયોગ થાય છે. જેને એન્ટાસિડ(પ્રતિ એસિડ પદાર્થ )કહે છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. એન્ટાસિડ તરીકે બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા(NaHCO3) અને મિલ્ક ઓફ મેગ્નેશિયા Mg(OH)2 ઉપયોગમાં લેવાય છે.

દાંતનું ક્ષયન રોકવામાં pHનું મહત્વ:-

જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો(ક્ષયન) શરૂ થાય છે. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ(Ca3(PO4)2)જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે. જે પાણીમાં ઓગળતું નથી પરંતુ મોંની અંદરની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન કહે છે.

મોંમા હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમા બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે. જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થ હોય છે. જે વધારાના ઍસિડને તટસ્થ કરે છે પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે.

મધમાખીના ડંખની અસરના ઉપચારમાં:-

મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે. જેના લીધે દર્દ અને સોજો આવે છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે ખાવાના સોડા  જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે જે ઍસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે.

આ ઉપરાંત કૌવચ એની (Nettle) નામની એક વનસ્પતિના પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે.

7.(i) તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? બે ઉદાહરણ આપો. (ii) શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ?

ઉત્તર :- (i) જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે, તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.

એસિડ + બેઇઝ → ક્ષાર + પાણી

(i) NaOH+HCl → NaCl +H2O

બેઇઝ     એસિડ    ક્ષાર      પાણી

(ii) 2KOH + H2SO4 → K2SO4 +H2O

બેઇઝ       એસિડ         ક્ષાર      પાણી

(ii) દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે. જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકશાન કારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઇએ.

8.(i) શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી? જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે?. (ii) તાજા દૂધની pH 6 છે. જો તેનુ દહીમાં રૂપાંતર થાય તો તેની pHના ફેરફાર વિશે તમે શુ વિચારો છો?

ઉત્તર :- (i) નિસ્યંદિત પાણીએ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે. જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ, નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે.

(ii) દૂધનું જયારે દહીમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે.તેને લીધે pHનું મૂલ્ય ઘટે છે અને દહી સ્વાદે ખાટું લાગે છે.

(9) એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ  માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.(a) તે તાજા દૂધની pHને 6 થી ઓછી બેઝિક તરફ શા માટે ફેરવે છે? (b) શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ?

ઉત્તર :- (a) તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે, તો pHનું મૂલ્ય 6થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. (b) દૂધમાં ખૂબ જ અલ્પ  માત્રામાં બેકિંગ સોડા ઉમેરતાં દૂધ બેઝિક બને છે.તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે.

10.(i) સાંદ્ર એસિડની મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે?  (ii) ક્ષાર પરિવારનો અર્થ લખો. સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર, અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના બે – બે ઉદાહરણ આપો.

ઉત્તર :- (i) સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે હલાવતા રહીને ઉમેરવો જોઈએ. જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે પરિણામે કોઈ હાનિ થતી નથી.

(ii) એક સમાન ધન અથવા ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે.

સોડીયમ ક્ષાર પરિવારના ઉદાહરણ: NaCl ,Na2SO4

ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ: NaCl , KCl

મેગ્નેશિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ: MgCl2  , MgSO4

પ્રકરણ – 6 જૈવિક ક્રિયાઓ

1. જૈવિક ક્રિયાઓ એટલે શું ? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો.

ઉત્તર :- બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે.

સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ નીચે મુજબ છે.

(1) પોષણ:-  ઊર્જાના સ્ત્રોતની ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે.

મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે.

(2) શ્વસન :-  સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્રોતનું  ઓક્સિજનનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે. શ્વસન દ્વારા ખાદ્ય પદાર્થોનું વિઘટન થઈ મુક્ત થતી ઉર્જા ATPમાં રૂપાંતર થાય છે.

મોટાભાગના સજીવો શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક જેવી સજીવો જ્યારે કેટલાક આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા ન હોવાથી તેને અજારકજીવી સજીવો કહે છે.

(3) વહન :- એકકોષી સજીવોમાં સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. આથી તેમાં ખોરાક ગ્રહણ માટે, વાયુઓની આપ લે માટે કે ઉત્સર્ગદ્રવ્યોને નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી.

જ્યારે બહુકોષી સજીવોમાં બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી તેથી બધા કોષો સુધી ખોરાક ઓક્સિજનને લઈ જવા તેમજ નકામા ઉત્સર્ગદ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહનતંત્રની આવશ્યકતા હોય છે.

(4) ઉત્સર્જન: આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવામાં આવે છે. એક કોષીય પ્રાણીઓ કોષ સપાટી દ્વારા પ્રસરણની ક્રિયાથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. જ્યારે બહુકોષી સજીવો માં  ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી, અંગ કે તંત્ર હોય છે.

2. મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- મુખથી મળ દ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચન ગુહા કહે છે.

આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે તેનું નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે.

 

 

મુખમાં પાચન:- મુખમાં દાંત વડે ખોરાક નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે.

લાળગ્રંથિમાંથી આવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસમાં રહેલો એમાયલેઝ (ટાયલિન) ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.

સ્ટાર્ચ  →  માલટોઝ (શર્કરા)

ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન જીભ ખોરાકને લાળ સાથે ભેળવે છે.

તરંગવત સંકોચન (પરિસંકોચન) :-

પાચનમાર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. આ હલન-ચલનથી ખોરાક પાચન નળીમાં પસાર થાય ત્યારે તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે

મુખથી જઠર સુધી ખોરાક અન્ન નળી મારફતે જાય છે.

જઠરમા પાચન :

જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ(HCl),પેપ્સીન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, આ મિશ્રણને જઠરરસ કહે છે.

જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર સાથે મિશ્ર કરે છે.

હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે.

શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે.

જઠરમાંથી ખોરાકનો આતરડાંમાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુપેશી દ્વારા નિયંત્રિત થાય છે.

નાના આંતરડામાં પાચન:-

નાનું આંતરડું પાચનમાર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ગૂંચળામય અંગ છે. તે કાર્બોદિત, પ્રોટીન, અને ચરબીના પૂર્ણ પાચન કરે છે.

જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે.

પિતરસ નું કાર્ય: પિત્તરસ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલી બનાવે છે તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે.

પિત્તક્ષારો ચરબીના મોટા ગોળકોને ચરબીનાં ઘટકોમાં રૂપાંતરિત કરે છે. જેને તૈલોદીકરણ કહે છે.

સ્વાદુરસનું કાર્ય:  સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાયલેઝ અને ચરબીના પાચન માટે લાયપેઝ ઉત્સેચકો હોય છે.

આંત્રરસનું કાર્ય:‌ નાના આંતરડાની દીવાલમાં આવેલી ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આંતરડામાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમીનો એસીડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, અને ચરબીનું ફેટી એસીડ અને ગ્લીસરોલમાં રૂપાંતર કરે છે.

3. મનુષ્યના શ્વસનતંત્રની આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- 

મનુષ્યના શ્વસનતંત્રમાં સંકળાયેલા અંગો:-

નસકોરા અને નાસિકા માર્ગ:- નસકોરા દ્વારા હવા શરીરમાં દાખલ થાય છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાય છે. જેમાં માર્ગનું શ્લેષ્મ અસ્તર મદદરૂપ થાય છે.

ગળામાં રહેલા અંગો :- કંઠનળી,સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે.

શ્વાસનળી ગળાથી ઉરસીયગુહામાં ફેફસાં સુધી લંબાયેલી છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રુંધાઈ જતો નથી.

ફેફસા:- ઉરસીય ગુહામાં એક જોડ ફેફસાં આવેલા છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠો માં પરિણમે છે.

વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાની જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે.

4. મનુષ્યના ઉત્સર્જનતંત્રની આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- મનુષ્યના ઉત્સર્જનતંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે.

 

 

મૂત્રપિંડ :- એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની પાર્શ્વ બાજુએ આવેલા છે.

મૂત્રવાહિની:- મૂત્રપિંડ અને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. મૂત્ર પિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે.

મૂત્રાશય :- તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે.

મૂત્રમાર્ગ:- મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે. તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે.

5. મનુષ્યના હ્રદયની અંત:સ્થ રચના દર્શાવતી નામનિર્દેશિત આકૃતિ દોરી તેમા રુધિરનુ પરિવહન સમજાવો.

ઉત્તર :-

હૃદય આપણી મૂઠ્ઠી કદનું એક સ્નાયુલ અંગ છે.મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજનવિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે .

મનુષ્યના હૃદયમાં પરિવહન પથ:-

હૃદયના ઉપરના રૂધિર એકત્ર કરતા બે ખંડો કર્ણકો અને નીચેના બે ખંડો ક્ષેપકો છે. જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે.

ડાબા ખંડોમાં

ફેફસામાંથી ફુપ્ફુસ શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે.

હવે ડાબુ કર્ણક સંકોચન પામે ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે ડાબુ ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈ અને શરીરના વિવિધ ભાગોને રુધિર પૂરું પાડે છે.

જમણા ખંડોમાં

હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કર્ણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજનવિહીન રુધિર તેમાં આવે છે.  

જમણું કર્ણક સંકોચન પામતા આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે.આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે.

જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાં ધકેલવામાં આવે છે.

જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રૂધિર પ્રવાહ ને અટકાવે છે.

ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં કે ક્ષેપકની દીવાલ જાડી અને સ્નાયુમય હોય છે.

6. ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો.

ઉત્તર :-

 

પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે.

કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજન નો ઉપયોગ કરે છે જેને જારક શ્વસન કહે છે.

કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે જેને અજારક શ્વસન કહે છે.

ગ્લુકોઝનું વિઘટન:-

ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ (છ કાર્બનયુક્ત) અણુઓનું પાયરુવેટ (3 કાર્બનયુક્ત) અણુમાં વિઘટન થાય છે. આ ક્રિયા કોષરસ માં થાય છે.

પાયરુવેટ નું અજારક ચયાપચય:-

ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે જેને અજારક શ્વસન કહે છે.આ ક્રિયા યીસ્ટમાં આથવણ દરમિયાન થાય છે.

જ્યારે આપણી સ્નાયુપેશી માં ઓક્સિજન નો અભાવ હોય ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડ(3 કાર્બનયુક્ત)માં રૂપાંતર થાય છે.

પાયરુવેટનું જારક ચયાપચય:-

ત્રણ કાર્બન ધરાવતા પાયરુવેટ અણુંનું ઓક્સિજનની હાજરીમાં 3 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન થાય છે જેને જારક શ્વસન કહે છે.ઓક્સિજનનો ઉપયોગ કરી પાયરુવેટનું વિઘટન કણાભસૂત્રોમા થાય છે.

અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ખૂબ જ વધારે ઉર્જા મુક્ત થાય છે.

કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઊર્જાએ ATP ના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે.


અહી,ધો.10 વિજ્ઞાન પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો(std 10 science ch1) વિડિયો સ્વરૂપે જોવા માટે જે તે ફોટા પર ક્લિક કરો.

Plz share this post

Leave a Reply