Std 10 Science imp – SECTION D Part-2

Std 10 Science imp - SECTION D Part-2

ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ D)મા std-10-science-imp બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

અહીયા પ્રકરણ – 4,11,13 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

પ્રકરણ – 2,6 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

PDF FILE ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

 

4 – કાર્બન અને તેના સંયોજનો

(1) કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે?

ઉત્તર :- કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે નીચેનાં પરિબળો પર આધાર રાખે છેઃ

(1) કાર્બનનો કેટેનેશન ગુણઃ- કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ (સંયોજનો) બને છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. → આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે.

→ કાર્બન પરમાણુ એક્લબંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. → જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એક્લબંધથી જોડાયેલા હોય તેવાં કાર્બનનાં સંયોજનોને સંતૃપ્ત સંયોજનો (Saturated Compounds) કહે છે.→ જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવાં કાર્બનનાં સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો (Unsaturated Compounds) કહે છે.

→ કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે, તે કોઈ બીજા તત્ત્વમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે, તેમાં સાત અથવા આઠ પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે. પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે.→ કાર્બન – કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુઓના એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે.

(2) કાર્બનની સંયોજકતા :- કાર્બનની સંયોજક્તા ચાર છે. તેથી તે કાર્બનના અન્ય ચાર પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્ત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. → કાર્બન એ ઑક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક અન્ય તત્ત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે. આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્ત્વ પર પણ આધાર રાખે છે.

→ કાર્બન પરમાણુ મોટા ભાગનાં અન્ય તત્ત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. → કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રૉન – યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ થાય છે. મોટા પરમાણુઓ ધરાવતાં તત્ત્વો દ્વારા બનતા બંધ અત્યંત નિર્બળ હોય છે.

(2) સમાનધર્મી શ્રેણી એટલે શું?તેની લાક્ષણિકતાઓ જણાવો.

ઉત્તર : વ્યાખ્યા : કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન – શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય, તેને સમાનધર્મી શ્રેણી કહે છે. અથવા

સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતાં જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા (-CH2) માં તફાવત ધરાવતો હોય, તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે.

લાક્ષણિકતાઓ:-

  • સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે.
  • શ્રેણીના દરેક સભ્યને સામાન્ય સૂત્રથી દર્શાવી શકાય છે. જેમકે આલ્કેન શ્રેણીના દરેક સભ્યને સૂત્ર CnH2n+2 થી દર્શાવી શકાય છે.
  • શ્રેણીના કોઈપણ બે ક્રમિક સભ્યોના આણવીય સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે.
  • શ્રેણીના કોઈપણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળ માં 14u જેટલો તફાવત હોય છે.
  • શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સન્માન પૂર્વગ અથવા પ્રત્યય લાગે છે.
  • શ્રેણીના દરેક સભ્યોમા જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો શ્રેણીનો દરેક સભ્ય સમાન રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે.
  • કોઈપણ સમાનધર્મી શ્રેણીમાં જેમ જેમ આણ્વીય દળ વધે તેમ-તેમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. કારણ કે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વધે છે. અન્ય ભૌતિક ગુણધર્મો જેમકે દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે. પરંતુ રાસાયણિક ગુણધર્મો એકસમાન જળવાઈ રહે છે.

(3) સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો.

ઉત્તરઃ સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક ઍસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. → સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડો જળઅનુરાગી છે, જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળવિરાગી છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. → જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય, ત્યારે સાબુની જળવિરાગી (હાઇડ્રોફોબિક) ‘પૂંછડી’ પાણીમાં દ્રાવ્ય થશે નહિ અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે. જ્યારે સાબુનું જળઅનુરાગી (હાઇડ્રોફિલિક) ‘શીર્ષ’ પાણીમાં દ્રાવ્ય થશે.

→ પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે, જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. → આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે, જેમાં જળવિરાગી પૂંછડી ઝૂમખા (ગુચ્છ)ના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝૂમખાની સપાટી પર હોય છે. → આ સંરચનાને મિસેલ કહે છે.

→ મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. → આ મિસેલ દ્રાવણમાં કલિલ સ્વરૂપે રહે છે. → આયન – આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. → આમ, મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે.

5.(i) પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો? (ii) નીચે દર્શાવેલ સંયોજનોનાં બંધારણ દોરો. (1) ઇથેનોઇક ઍસિડ (2) બ્રોમોપેન્ટેન (3) બ્યુટેનોન (4) હેક્ઝેનાલ.

(6) (i) હાઇડ્રોજનીકરણ એટલે શું? તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે? (ii) સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.

ઉત્તર :- (i) અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે. ઉપયોગ:- હાઇડ્રોજીનેશનથી ઔદ્યોગિક ધોરણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય છે.

 

(ii)માખણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે, જ્યારે રાંધવા માટે વપરાતું તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. → અસંતૃપ્ત સંયોજન આલ્કલાઇન KMnO4 નો ગુલાબી રંગ દૂર કરે છે. → માખણમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન KMnO4 ઉમેરવાથી તેનો ગુલાબી રંગ દૂર થતો નથી, જ્યારે રાંધવા માટે વપરાતા તેલમાં થોડા પ્રમાણમાં આલ્કલાઈન KMnO4  ઉમેરતા તેનો ગુલાબી રંગ દૂર થાય છે.

પ્રકરણ – 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા

(1) માનવ આંખની નામનિર્દેશનવાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો.

ઉત્તર :- માનવ આંખના મુખ્ય ભાગોની નામનિર્દેશનવાળી આકૃતિ નીચે મુજબ છે.

તેમના મુખ્ય ભાગોના કાર્ય નીચે મુજબ છે.

આંખના ડોળા(eye ball)નો આકાર લગભગ ગોળાકાર હોય છે જેનો વ્યાસ આશરે3cm હોય છે.

પારદર્શક પટલ:- આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ વળેલો હોય છે તેને પારદર્શક પટલ કહે છે. તે ગોળાકાર અને પાતળો પારદર્શક અંતરપટ છે. આ અંતરપટ આંખ પર પડતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે.

કનિનીકા:-(આઈરિસ) :- પારદર્શક પટલના પાછળના ભાગે કનીનિકા નામની રચના જોવા મળે છે. તે ઘેરો સ્નાયુમય પડદો છે. જે કીકીનું કદ નાનું મોટું કરે છે. કનીનીકાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે.

કીકી(pupil):- કનીનિકાની મધ્યમાં આવેલા નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે.

જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય છે ત્યારે કનીનિકા કીકીને સંકોચે છે. અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે. જ્યારે પ્રકાશ ઝાંખો હોય ત્યારે કનીનિકા વડે કીકી વિસ્તરણ પામે છે અને કીકી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશવા દે છે.

નેત્રમણિ:- કનીનિકાની પાછળ નેત્રમણિ (આંખનોલેન્સ) આવેલ છે જે બહિર્ગોળ લેન્સ છે. તે પારદર્શક નરમ અને જેલી જેવા પદાર્થનો પ્રોટીનનો બનેલો છે.

સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણિ કેન્દ્રલંબાઈ અને તેથી તેનો અભિસારી પાવર થોડી માત્રામાં બદલી શકાય છે. તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ રચે છે.

સિલિયરી સ્નાયુઓ :- નેત્રમણિને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે. તે નેત્રમણિની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્રલંબાઈ બદલી શકે છે.

સિલિયરી સ્નાયુઓની ઢીલી અથવા આરામની સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે. એટલે તેની કેન્દ્રલંબાઈ વધારે અને પાવર ઓછો હોય છે. પરિણામે આંખ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે.

જ્યારે સિલિયરી સ્નાયુઓ તંગ અથવા સંકુચિત થાય ત્યારે લેન્સની જાડાઈમાં વધારો થાય અને કેન્દ્રલંબાઈ ઘટે છે જેથી પાવર વધે છે જેથી આંખ નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકવા સક્ષમ બને છે.

નેત્રપટલ(રેટિના):-  આંખના લેન્સની પાછળ અને આંખના ડોળાની પાછળના ભાગમાં એક પડદો હોય છે. જેને નેત્રપટલ કહે છે. જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ રચાય છે. તે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે.

જે બે પ્રકારના હોય છે.

દંડકોષો:- આ કોષો પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદી  હોય છે.

શંકુ કોષો:- આ કોષો પ્રકાશના રંગ પરત્વે સંવેદી હોય છે.

પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશા દ્રષ્ટિ ચેતા મારફતે મગજને પહોંચાડાય છે.

મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે. અને આપણે વસ્તુ ને જોઈ શકીએ છીએ.

દ્રષ્ટિ ચેતા:- વિદ્યુત સંદેશા દ્રષ્ટિ ચેતા મારફતે નેત્રપટલ થી મગજ સુધી પહોંચાડાય છે. જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે.

તરસ:- પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચેની જગ્યામાં શ્યાન અને પારદર્શક પ્રવાહી આવેલ છે. જેને તરલ રસ કહે છે. જે વક્રીભૂત પ્રકાશ નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત તે આંખની અંદરનું દબાણ નિયંત્રિત કરે છે.

કાચરસ :- આંખના લેન્સ અને નેત્રપટલ ની વચ્ચેની જગ્યામાં પારદર્શક જેલી આવેલ હોય છે જેને કાચરસ કહે છે.

(2) લઘુદ્રષ્ટિની ખામી (માયોપિઆ) થવાના કારણો અને તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો.

ઉત્તર :-

લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો:-

આંખના લેન્સની વક્રતા વધારે હોવી (લેન્સની કેન્દ્રલંબાઈ ઘટવી) અથવા

આંખનો ડોળો લાંબો થવો (નેત્રપટલ અને લેન્સ વચ્ચેનું અંતર વધવું)

આ કારણોને લીધે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી. પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે.

ખામીનું નિવારણ :- લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ.

આમ, દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે.

(3) ગુરુ દ્રષ્ટિની ખામી (હાઈપરમેટ્રોપીઆ) થવાના કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય યોગ્ય આકૃતિ દ્વારા તે દર્શાવો.

ઉત્તર :-

ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો:

આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતાના લીધે કેન્દ્રલંબાઈમાં ઘણો વધારો. અથવા

આંખનો ડોળો ખૂબ નાનો થવો. (નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર ઘટવું)

આ કારણને લીધે 25cm અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલ ની પાછળ કેન્દ્રિત થાય છે.

ખામીનું નિવારણ:- ગુરુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્માં પહેરવા જોઈએ.

જેનાથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે.

(4) પ્રેસબાયોપિ એટલે શું? પ્રેસબાયોપિ થવાના કારણો જણાવો. ખામી કેવી રીતે નિવારી શકાય છે?

ઉત્તર :- મોટી ઉંમરવાળી વ્યક્તિઓ આંખની જે ખામીને કારણે સહેલાઈથી વાંચી કે લખી શકતી નથી. તેને પ્રેસબાયોપિઆ કહે છે.

સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. મોટાભાગના લોકો માટે નજીક બિંદુ ધીમે-ધીમે દૂર થતું જાય છે. જેથી ચશ્મા ઉપયોગ વગર નજીકના પદાર્થોને તેઓ સરળતાથી અને સ્પષ્ટ રીતે જોઇ શકતા નથી.

કેટલીકવાર આંખનું દૂર બિંદુ અનંત અંતરેથી વ્યક્તિ તરફ ખસે છે. જેથી ચશ્માના ઉપયોગ વગર દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે.આમ, ઘણીવાર વ્યક્તિ માયોપિઆ અને હાઇપરમેટ્રોપીઆ બંને થી પીડાય છે.

પ્રેસબાયોપિ થવાના કારણો:- આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદભવે છે. પ્રેસબાયોપિઆના મુખ્ય કારણમાં આંખ લેન્સની કેન્દ્રલંબાઈમાં વધારો થાય છે. પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય હોય છે.

ખામી નું નિવારણ:- જે વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિ ખામી એમ બન્ને પ્રકારની ખામીથી પીડાય છે. આવી વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ (બાયફોકલ લેન્સ) ની જરૂર પડે છે.

બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે. બાયફોકલ લેન્સનો ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે. જે દૂરની વસ્તુઓ જોવામાં વપરાય છે.જ્યારે નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ ધરાવે છે જે નજીકની વસ્તુ જોવામાં મદદરૂપ થાય છે.

(5) કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :-

જ્યારે શ્વેત પ્રકાશને પ્રિઝમ માંથી પસાર કરવામાં આવે ત્યારે સાત રંગના (જાનીવાલીપીનારા) પટ્ટા આપણને પડદા પર જોવા મળે છે.

જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે અને રાતા રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય છે.

આથી ,પડદા પર જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે અને રાતા રંગનો પટ્ટો સૌથી ઉપર હોય છે.

આમ, થવાનું કારણ પ્રિઝમ પોતે આપાત સફેદ પ્રકાશને રંગના પટ્ટા માં વિભાજિત કરે છે તે છે.

(6) પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો. આકાશમાં મેઘ ધનુષ્યના નિર્માણની ઘટના આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- મેઘધનુષ્યએ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મબુંદો પર આપાત થતા સૂર્યપ્રકાશનું વક્રીભવન થઈ વિભાજન થાય છે. જેના લીધે મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહેવાથી આકાશમાં મેઘધનુષ્ય જોઈ શકાય છે.

અહીં, પાણીની બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. જે બુંદમાં દાખલ થતાં પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન ત્યાર બાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે.

પ્રકાશના વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકનકર્તાની આંખો સુધી પહોંચે છે.

મેઘ ધનુષ્યના અવલોકન માટે ની શરતો:-

વરસાદ પડ્યા પછી અથવા પાણીનો ફૂવારો ઊડતો હોય ત્યાં.

સૂર્ય અવલોકનકર્તા ની પાછળ હોવો જોઈએ.

પ્રકરણ-૧૩ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો

 


અહી,ધો.10 વિજ્ઞાન પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો(std 10 science ch1) વિડિયો સ્વરૂપે જોવા માટે જે તે ફોટા પર ક્લિક કરો.

Plz share this post

Leave a Reply