ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-7 આપણા વારસાનું જતન

std10 social science ch7

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 7 આપણા વારસાનું જતન (std10 social science ch7) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.std10 social science ch7

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

std10 social science ch7

(1) આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ?

ઉત્તર:-→ આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે.→ આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે.→ આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે.

→ આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. તે આપણા માટે માર્ગદર્શક છે.→ ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે.

→ દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.→ વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે.

→ વિદેશી પ્રજાનાં આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે. તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે. આવા આપણા ભવ્ય વારસાના મહત્ત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ.

(2) પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો.

ઉત્તર:-→ ઈ.સ. 1972 માં ભારત સરકારે વન્ય જીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદો રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવાયાં છે.→ આ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે.→ દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવ્યાં છે.

→ ઈ.સ. 1883 માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે. તે સૌથી જૂની સંસ્થા છે.→ હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે.

→ ભારત સરકાર ઉપરાંત, દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષણનું ઘણું ઉપયોગી કાર્ય કરે છે.

(3) વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો.

ઉત્તર:-આપણો વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે. તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના સંરક્ષણની જવાબદારી ઉઠાવવી જોઈએ.

→ શિક્ષકોએ શાળાઓમાં અને અધ્યાપકોએ કૉલેજોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ.→ લોકોએ આપણાં રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને પુરાતત્ત્વીય અવશેષોને ઓળખવાં જોઈએ અને તેમના સંરક્ષણમાં મદદરૂપ બનવું જોઈએ.

→ લોકોએ વારસાનાં સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ.→ સ્થાનિક કક્ષાએ શાળા – કૉલેજો અને બિનસરકારી સંસ્થાઓએ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ, વક્તવ્યો અને ચર્ચાસભાઓ યોજી વારસાના મહત્ત્વની સમજ આપી લોકજાગૃતિ અને સભાનતા કેળવવાં જોઈએ.

→ ઐતિહાસિક સ્મારકો, શિલ્પ – સ્થાપત્યો અને કલાત્મક નમૂનાઓ એકવખત નષ્ટ થયા પછી તેમને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી. તેથી એ સ્મારકો નષ્ટ ન થાય, તેમની તોડફોડ ન થાય અને તે ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ સૌએ બજાવવી જોઈએ.

→ પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવો, સરોવરો, કૂવા, વાવ, કુંડ, ઝરણાં, ઝરા વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, અડાલજની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે વર્ષાઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકોની જેમ જ જળવાય તેનું ધ્યાન સૌએ રાખવું જોઈએ.

→ સરકાર દ્વારા જળવાતાં સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોમાં સંગૃહીત થયેલી આપણા વારસાની મૂલ્યવાન ચીજવસ્તુઓ ચોરાઈને દેશમાં કે વિદેશમાં જતી ન રહે તેની લોકોએ સાવધાની રાખવી જોઈએ.→ એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર ફરજ અદા કરવી જોઈએ.

(4) પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો.

ઉત્તર:-→ ઈ.સ. 1958 માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો.

→ આ કાયદામાં પ્રાચીન ક્લાકૃતિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો, ભારતીય સંસ્કૃતિને લગતાં ઉત્ખનન કરેલાં સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી ચીજવસ્તુઓની જાળવણી કરવા સૂચવ્યું છે.→ આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખનન (ખોદકામ) કરી શકે નહિ.

→ આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાંક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયનાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કરીને તેમની સારસંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્ત્વ ખાતા (ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી) ને સોંપ્યું છે.

→ પુરાતત્ત્વ ખાતું નષ્ટ પામેલાં કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવાં સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે.

→ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી પરની નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતાં સંગમેશ્વર મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહને પુરાતત્ત્વ ખાતાએ આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફ્ળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યાં છે.

→ તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતા વાયુ – પ્રદૂષણને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા.

→ તાજમહાલને વાયુ – પ્રદૂષણથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ – પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી.

→ ઈ.સ. 1972 માં ભારત સરકારે બે કાયદા બનાવ્યા.

(1) પુરાતત્ત્વીય અથવા અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો. આ કાયદા મુજબ વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની માહિતી એકઠી કરવામાં આવી છે.

(2) વન્ય જીવોને લગતો કાયદો – 1972. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને સમાવી લેવામાં આવ્યાં છે. આ કાયદા અંતર્ગત દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો.

std10 social science ch7

(1) આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો.

ઉત્તર:-→ આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે.→ આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે.→ આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે.

→ આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. તે આપણા માટે માર્ગદર્શક છે.→ ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે.

→ દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.→ વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે.

(2) સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો.

ઉત્તર:-ભારતીય નિધિ વ્યાપાર કાનૂન – 1876 માં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિકને જમીન ખોદતાં, ખેતર ખેડતાં તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતાં અચાનક કોઈ પૌરાણિક કે પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્ત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી, જેથી તેનું સંરક્ષણ સંગ્રહાલયોમાં કે જે – તે સ્થળે થઈ શકે.

→ ઈ.સ. 1972 માં અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે.

→ ગુજરાતમાં અમદાવાદ ખાતે ‘લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય’ (એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી) અને ‘ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન’ (ભો.જે.વિદ્યાભવન); કોબા – ગાંધીનગર ખાતે ‘શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર’, પાટણ ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર (ગ્રંથાલય) વગેરે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુ લિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે ભાષાઓની હસ્તપ્રતોની જાળવણી કરે છે.

→ આપણા દેશમાં નવી દિલ્લી ખાતે ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’, કોલકાતા ખાતે ‘ભારતીય સંગ્રહાલય’, મુંબઈ ખાતે ‘’છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય’ (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), હૈદરાબાદ ખાતે ‘સાલારગંજ સંગ્રહાલય’, ભોપાલ ખાતે ‘રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય’,વડોદરા ખાતે ‘વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરી’ વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો છે.

→ તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યાં છે. તેમનું જતન અને રક્ષણ કરવું એ નાગરિકોની પવિત્ર ફરજ છે.

(3) ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો.

ઉત્તર:-ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ઐતિહાસિક સ્મારકનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવાં જોઈએ.ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ.

(4) પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો.

ઉત્તર:-પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશેનાં મંતવ્યો:

(1) કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ.(2) કચરો ગમે ત્યાં ન ફેંકવો. નાનો – મોટો બધો જ કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ.(૩) ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ.

(4) ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.(5) પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂંકવું ન જોઈએ.(6) પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય – સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહિ.(7) ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં તળાવો, સરોવરો, વાવ, કૂવા, કુંડ વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ.

(8) રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફસફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. તેમનાં મૂળ સ્વરૂપ તેમજ તેમનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવાં જોઈએ.

(9) દેશ – વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ માટે તેમને જાગૃત અને સાવધાન કરવા જોઈએ.(10) કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન પ્રયત્નો કરવા જોઈએ.

(5) ‘ભારતની વિવિધતામાં એકતા’ વિશે નોંધ લખો.

ઉત્તર:-ભારત દેશની વિવિધતા જ વિશ્વમાં તેની આગવી ઓળખ છે.

→ વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મો અને સંપ્રદાયોને પોતાનામાં સમાવીને ભારતે વસુધૈવ કુટુમ્બવ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક વિશાળ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે.

→ ભારતની પ્રાચીન સંસ્કૃતિએ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાનાં બી વાવ્યાં હતાં, જેમાંથી આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે.યૂ.એસ.એ.ના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય સંસ્કૃતિના એ વિશિષ્ટ લક્ષણને રજૂ કરતાં કહ્યું હતું કે ”મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો (હિન્દુ ધર્મનો) હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.”

→ ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. જગતના લગભગ બધા જ ધર્મો પાળતી પ્રજા ભારતમાં વસે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ વગેરે ધર્મોની ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ પર થયેલી જોવા મળે છે.→ પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો હતો. આથી જ તેમણે સમગ્ર દેશને ‘ભારતવર્ષ’ એવું વિશાળ નામ આપ્યું હતું.

→ તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી સાથે પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે.→ ભારતના ઋષિમુનિઓ, સૂફી – સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી વગેરે યુગપુરુષોએ હંમેશાં શાંતિ, સમન્વય અને વિશ્વબંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે.

→ ભારતમાં અનેક ધર્મો – સંપ્રદાયો, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીતરિવાજો, પરંપરાઓ, ઉત્સવો – તહેવારોના લોકો સમરસતાથી જીવન જીવે છે. તેઓ સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.→આમ, વિવિધતામાં એકતાનુ દર્શન અને સર્જન એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.

std10 social science ch7

(1) પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો.

ઉત્તર:-યુનેસ્કોએ ભારતનાં 32 જેટલાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યાં છે. તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓએ સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. પરિણામે દેશમાં પ્રવાસ – પર્યટનનો એક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. આ ઉદ્યોગથી જે – તે રાજ્યને અને દેશને નીચે દર્શાવેલા આર્થિક લાભ થાય છે.

→ પ્રવાસનને લીધે પ્રવાસનાં સ્થળોની હૉટલો અને રેસ્ટોરન્ટોના માલિકોને, ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને, સ્થાનિક કલાકારીગરીની વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે.→ પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે.

→ ટૂર્સ – ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઑપરેટરોને કમાણી થાય છે. જે – તે રાજ્ય સરકારને જુદા જુદા ટૅક્સની આવક થાય છે.→ દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશને કીમતી વિદેશી હૂંડિયામણની કમાણી થાય છે.

→ પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક ક્લાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે.→ શૈક્ષણિક ક્ષેત્રે પર્યટનસંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થતાં દેશમાં પર્યટન માર્ગદર્શક (ટુરિઝમ ગાઇડ) નો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે.

→ વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે.→ સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશા વ્યવહાર, પાણી જેવી સગવડોનો વિકાસ થાય છે.

→ પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી અને નૌકાવિહાર જેવી પ્રોત્સાહન મળે છે.→ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે.

(2) આપણા વારસાને લોકો કઈ – કઈ રીતે નુકસાન પહોંચાડે છે?

ઉત્તર:-આપણા વારસાને લોકો નીચે દર્શાવેલી રીતે નુકસાન પાડે છે.

→ નદીઓ, ઝરણાં, સરોવરો વગેરેને પ્રદૂષિત કરીને→ જંગલો, વૃક્ષો વગેરેને આડેધડ કાપીને→ જીવજંતુઓ અને વન્ય જીવોને મારી નાખીને

→ શિલ્પો, સ્થાપત્યો, ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને→ ઐતિહાસિક સ્થળોની આજુબાજુ ગંદકી કરીને→શિલાલેખોના લખાણને ભૂસી નાખીને

(3) ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ની રચના ક્યારે થઈ હતી? તે શું કાર્ય કરે છે?

ઉત્તર:-‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ની રચના ઈ.સ. 1883 માં થઈ હતી. તે પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષણનું ઉપયોગી કાર્ય કરે છે.

(4) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે?

ઉત્તર:-ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey India) નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી તેનું કાર્ય કરે છે.

(5) સ્વામી વિવેકાનંદે ‘વિશ્વધર્મ પરિષદ’માં ધર્મ વિશે શું કહ્યું હતું?

ઉત્તર:-સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં યોજાયેલ  વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ ‘વિશ્વધર્મ પરિષદ’માં ભારતીય ધર્મ વિશે આ પ્રમાણે કહ્યું હતું.”મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.”

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

std10 social science ch7

(1) સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો.

(1) શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય                    (A) મુંબઈ

(2) ભારતીય સંગ્રહાલય                           (B) ભોપાલ 

(3) છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય  (C) પાટણ

(4) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય                 (D) કોલકાતા

(A) (1 – C), (2 – D), (3 – A), (4 – B)

(B) (1 – A), (2 – B), (3 – D), (4 – C)

(C) ( 2 – A), (4 – C), (1 – B), (3 – D)

(D) (4 – B), (1 – D), (3 – C), (2 – A)

ઉત્તર:-(A) (1 – C), (2 – D), (3 – A), (4 – B)

(2) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

(A) ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.

(B) “મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે”- સ્વામી વિવેકાનંદ

(C) ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.

(D) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.

ઉત્તર:-(D) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.

(3) તાજમહેલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા તેનું શું કારણ હતું?

(A) ભૂમિપ્રદૂષણ (B) જળપ્રદૂષણ (C) વાયુપ્રદૂષણ (D) ધ્વનિપ્રદૂષણ

ઉત્તર:-(C) વાયુપ્રદૂષણ

std10 social science ch7


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ

 

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


 

Plz share this post

Leave a Reply