ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ (std10 social science ch16) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

( 1 ) ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો.

ઉત્તર : આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા.

આર્થિક ઉદારીકરણના લાભ : ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતાં નીચે મુજબ લાભ થયા છે :

→ ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદનવૃદ્ધિના દરમાં વધારો થયો છે. → વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો. → વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હૂંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે. → દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. → આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે. → ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે.

( 2 ) ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો.

ઉત્તર : ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે છે : → દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે. → મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. → જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.

ખાનગીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છે : → આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. → નાના ઉદ્યોગો અને ગૃહઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે. → ભાવો અંકુશમાં રહ્યા નહિ, તેથી દેશમાં ભાવવધારાની સમસ્યા સર્જાઈ છે.

( 3 ) પર્યાવરણની સુરક્ષા માટેનાં પગલાંઓ જણાવો.

ઉત્તર : પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા – વિચારણા કરવા માટે ઈ.સ. 1972 માં સ્વિડનના સ્ટૉકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ  યોજાઈ. ત્યારપછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેક વાર સંમેલનો અને શિબિરો યોજાયાં. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું.

ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલાં પગલાં ભરવામાં આવ્યાં છે :

→ દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. → પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. → પ્રદૂષણ – નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં આ દિવસને પર્યાવરણદિન તરીકે ઊજવવામાં આવે છે. → ઈ.સ. 1981 માં ભારત સરકારે ‘વાયુ – પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો છે.

વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે.

( 4 ) ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો.

ઉત્તર : ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણનાં સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.

→ ખેતીલાયક જમીન, જંગલો, જળસંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવાં પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો. → કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવાં સાધનો છે. તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. → વાહનવ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. વાહનો અને ઉદ્યોગોમાં ‘પર્યાવરણ મિત્ર ટેક્નોલૉજી’નો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા.

→ અનેક ઉપયોગો ધરાવતાં સાધનોને બધા જ ઉપયોગોમાં લેવાં. જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત – ઉત્પાદન, પૂરનિયંત્રણ, વાહનવ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે. → આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલ્સયુક્ત ગંદું પાણી, ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવાં.

→ ઉત્પાદનનાં તમામ ક્ષેત્રોમાં સૌરઊર્જા અને પવન – ઊર્જા જેવાં બિનપરંપરાગત ઊર્જા – સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો. → પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો. → પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો. એ માટે આડપેદાશોનો ઉપયોગ, ટેક્નોલૉજીનો વિકાસ વગેરે પર ભાર મૂકવો.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :

( 1 ) વૈશ્વિકીકરણના લાભો જણાવો.

ઉત્તર : વૈશ્વિકીકરણના મુખ્ય લાભો નીચે પ્રમાણે છે. → વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. → વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે. → ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.

( 2 ) વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો લખો.

ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.) ના સભ્ય – દેશોએ 1 જાન્યુઆરી, 1995 ના રોજ વિશ્વ – વ્યાપાર સંગઠન (WTO– World Trade Organization) ની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના જિનીવા શહેરમાં આવેલું છે.

વિશ્વ – વ્યાપાર સંગઠનનાં મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે : → આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા. → વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું.  → વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ – બંને વચ્ચે સંકલન સાધવું. → વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું.

વિશ્વ – વ્યાપાર સંગઠન ઉપર્યુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેનાં કાર્યો હાથ ધરી રહ્યું છે : → બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો. → તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા – વિચારણા અને વાટાઘાટો માટે ‘ફોરમ’ (ચર્ચા માટેનું સ્થાન) તરીકેની કામગીરી બજાવવી. → તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે. → પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય – દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા – વધારા સૂચવે છે.

( 3 ) ખાનગીકરણના લાભો જણાવો.

ઉત્તર : → દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે. → મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. → જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો :

( 1 ) વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો.

ઉત્તર : વૈશ્વિકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે.

( 2 ) ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો?

ઉત્તર : 1971

( 3 ) વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ?

ઉત્તર : 1 જાન્યુઆરી, 1995

( 4 ) ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો.

ઉત્તર : ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણનાં સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.

4. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો :

( 1 ) વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?

( A ) સ્ટોકહોમ ( B ) જીનીવા ( C ) લંડન ( D ) કોલકાત્તા

ઉત્તર : ( B ) જીનીવા

( 2 ) પર્યાવરણીય જાગૃતિ અંગે ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?

( A ) 1972 ( B ) 1951 ( C ) 1992 ( D ) 2014

ઉત્તર : ( A ) 1972

( 3 ) વિશ્વમાં ક્યા દિવસને ‘વિશ્વ પર્યાવરણ દિન’ તરીકે ઊજવવામાં આવે છે?

( A ) 8 માર્ચ ( B ) 11 જુન ( C ) 5 જૂન ( D ) 12 માર્ચ

ઉત્તર : ( C ) 5 જૂન

( 4 ) દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે …

( A ) ખાનગીકરણ ( B ) વૈશ્વિકીકરણ ( C ) ઉદારીકરણ   ( D ) એક પણ નહિ

ઉત્તર : ( B ) વૈશ્વિકીકરણ


શૈક્ષણિક વર્ષ 2022-23 થી ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્વતિમાં ફેરફાર થયેલ છે. માટે ધોરણ -9 થી 12 ના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Plz share this post

Leave a Reply