ધો.9 સામાજિક વિજ્ઞાન પ્ર-1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

std9 social science ch1

ધો.9 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય (std9 social science ch1) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1.નીચેના પ્રશ્નોના ટુંકમાં જવાબ લખો. std9 social science ch1

(1) યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો.

ઉત્તર : પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપારધંધો ચાલતો હતો. એ સમયે યુરોપનાં બજારોમાં ભારતનાં મરી-મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કીમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીનમાર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કૉન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું.

ઈ.સ. 1453માં તુર્ક મુસ્લિમોએ કૉન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી-મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી.

(2) ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યાં?

ઉત્તર : ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો નીચે મુજબ હતાં. → ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. → તેના સમયમાં ઈ.સ. 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. → તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તારવ્યવહાર શરૂ થયો.

→ તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. → તેણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને વિધવા-પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. → તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. → તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. → ડેલહાઉસીએ કરેલા ઉપર્યુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે, ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો.

(3) વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઇ કઇ હતી?

ઉત્તર : ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી: ( 1 ) આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. ( 2 ) તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઊપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો.

( 3 ) તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહિ. ( 4 ) તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્યદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ (રેસિડન્ટ) રાખવો પડશે. ( 5 ) તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહિ.

(4) ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત કર્યાં કર્યાં રાજ્યો ખાલસા કર્યા? 

ઉત્તર : ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત નીચેનાં રાજ્યો ખાલસા કર્યાં: → તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું. → તેણે મ્યાનમાર (બર્મા) ના રાજાને હરાવી રંગૂન સહિતનો પેગ પ્રાંત ખાલસા કર્યો. → તેણે સાતારા, જેતપુર, સંબલપુર, ઉદેપુર (મધ્ય પ્રદેશ), ઝાંસી, બધાત, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમનાં રાજ્યો ખાલસા કર્યાં.

→ રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું. → નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાડ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો.

2.નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. std9 social science ch1

(1) પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો.

ઉત્તર : પ્લાસીનું યુદ્ધ ઈ.સ. 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ્-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારીમથક ફૉર્ટ વિલિયમ (કોલકાતા)ની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજ ઉદ્-દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો. આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાખી.

આ સમાચાર મળતાં ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રૉબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ-ઉદ- દૌલાને હરાવી શકે તેમ નહોતા. તેથી તેમણે સિરાજ-ઉદ્-દૌલાને હરાવવા કાવતરું ઘડ્યું. રૉબર્ટ ક્લાઈવે નવાબના સેનાપતિ મીરજાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી.

ત્યારપછી રૉબર્ટ ક્લાઈવે, બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી, તેની સામે ઈ.સ. 1757 માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ-ઉદ્-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીરજાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીરજાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ, ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો.

(2) કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો.

ઉત્તર : કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો નીચે પ્રમાણે હતી : →  ભારતદેશ છેલ્લાં 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. → બ્રિટિશ કંપનીનાં 100 વર્ષના શાસનકાળમાં ભારતદેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો. → ઈ.સ. 1708 થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી ‘દ્વિમુખી શાસનપદ્ધતિ’ને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો.

→ પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમુદ્ર હતાં. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યાં. → અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલનીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. → ખેતી પડી ભાંગતાં તેની માઠી અસર દેશના વેપાર-વાણિજ્ય પર થઈ. → અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી.

→ ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીતરસમો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા.કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કૉન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇન્કાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા કરતા.

→ કંપનીની જોહુકમીને કારણે બંગાળનો ધીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. → આમ, કંપની શાસનની ભારતની ખેતી, ગૃહઉદ્યોગો અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ.

(3) કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો.

ઉત્તર : કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે પ્રમાણે હતી: → અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચારસ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન-પ્રદાન શક્ય બન્યું. → 18મી–19મી સદી દરમિયાન ભારતમાં સતીપ્રથા, જન્મતાંવેંત દીકરીને દૂધ પીતી કરવી (મારી નાખવી), બાળલગ્ન, દહેજપ્રથા, વિધવા-પુનર્લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહનરાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજસુધારકોએ એ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા.

→ ભારતમાં શિક્ષણક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ઈ.સ. 1834 માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. → ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ.

→ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થય . નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહનરાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી, બહેરામજી મલબારી વગેરે સમાજસુધારકો થયા. એ સમાજસુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. આમ, કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી.

3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : std9 social science ch1

(1) ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?

( A ) કોલંબસ ( B ) વાસ્કો-દ-ગામા ( C ) પ્રિન્સ હેનરી ( D ) બાર્થોલોમ્યુ ડાયઝ

ઉત્તર:- ( B ) વાસ્કો-દ-ગામા

(2) ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?

( A ) વેલેસ્લી ( B ) ડેલહાઉસી ( C ) વૉરન હેસ્ટિંગ્સ ( D ) વિલિયમ બૅન્ટિક

ઉત્તર:- ( B ) ડેલહાઉસી

(3) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

( A ) 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું. ( B ) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના ચોવીસ પરગણાની જાગીર મળી. ( C ) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. ( D ) બંગાળાના નવાબ સિરાજ-ઉદ્- દલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો.

ઉત્તર:- ( C ) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.

(4) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો?

( A ) વૉરન ટેસ્ટિંગ ( B ) વેલેસ્લી ( C ) ડેલહાઉસી ( D ) કેનિંગ

ઉત્તર:- ( A ) વૉરન ટેસ્ટિંગ

(5) અંગ્રેજોએ ત્રીજો મૈસુર વિગ્રહ કોની સાથે કર્યો?

( A ) ટીપુ સુલતાન ( B ) નિઝામ ( C ) મરાઠા ( D ) હૈદરઅલી

ઉત્તર:- ( A ) ટીપુ સુલતાન


આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.

પ્ર-1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્ર – 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો


youtube logo

 

Plz share this post

Leave a Reply