ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ – 6 નિયંત્રણ અને સંકલન

std 10 science ch6

ધો.10 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – 6 નિયંત્રણ અને સંકલન (std 10 science ch6) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 119]

std 10 science ch6

પ્રશ્ન 1. પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે?

ઉત્તર : પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે. તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે અને તે પશ્ચમગજના અનુમસ્તિષ્ક ભાગ વડે નિયંત્રિત છે. આ ક્રિયા વ્યક્તિની ઇચ્છા ૫૨ આધારિત છે.

પ્રશ્ન 2. બે ચેતાકોષોની વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે?

ઉત્તર : પાસપાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. અક્ષતંતુ (ચેતાક્ષ)ના છેડે વીજ – આવેગ કેટલાંક રસાયણો મુક્ત કરે છે. આ રસાયણો ચેતોપાગમ પસાર કરે છે અને પછીના ચેતાકોષના શિખાતંતુમાં વીજ – આવેગનો પ્રારંભ થાય છે.

પ્રશ્ન 3. મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે ?

ઉત્તર : મગજનો અનુમસ્તિષ્ક ભાગ શરીરની સ્થિતિ અને સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે.

પ્રશ્ન 4. આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે?

ઉત્તર : આપણા નાકમાં આવેલા ઘ્રાણગ્રાહી એકમો અગરબત્તીની સુવાસથી ઉત્તેજિત થાય છે. તેના કારણે સર્જાતો ઊર્મિવેગ સંવેદી ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થાય છે. આ ઊર્મિવેગ મગજ તરફ વહન પામે છે. બૃહમસ્તિષ્કમાં આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તીની સુવાસની ખબર થાય છે.

પ્રશ્ન 5. પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે?

ઉત્તર : સામાન્ય રીતે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે દર્શાવાય છે અને તેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી. આમ છતાં, પૂર્વવત્ સૂચનાઓ મગજ સુધી જાય છે. કેટલીક પરાવર્તી ક્રિયાઓ જેવી કે, સ્વાદિષ્ટ ખોરક જોતાં મોંમાં પાણી વળવું, હૃદયના ધબકારા, શ્વોસોચ્છવાસ, ઉરોદરપટલનું હલન ચલન, છીંક, બગાસું, આંખના પલકારા વગેરેમાં મગજ સંકળાયેલું છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 122]

std 10 science ch6

પ્રશ્ન 1. વનસ્પતિ અંતઃસ્રાવો એટલે શું?

ઉત્તર : વનસ્પતિ અંતઃસ્રાવો એટલે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં રાસાયણિક સંયોજનો ; જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંક્લન કરે છે.

પ્રશ્ન 2. લજામણીનાં પર્ણોનું હલનચલન, એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે?

ઉત્તર : હલનચલન લજામણીનાં પર્ણોનું હલનચલન:- → આ હલનચલન વૃદ્ધિ આધારિત નથી. → આ હલનચલન ચોક્કસ દિશામાં થતું નથી. → તે ઝડપી હલનચલન છે . → આ હલનચલન માટે સ્પર્શ જવાબદાર છે.

પ્રરોહની પ્રકાશ તરફ ગતિ:- → આ હલનચલન વૃદ્ધિ આધારિત છે. → આ હલનચલન એકદિશીય કે અનુચલન છે. → તે ખૂબ ધીમું હલનચલન છે. → આ હલનચલન માટે ઑક્ઝિન જવાબદાર છે.

પ્રશ્ન 3. એક વૃદ્ધિપ્રેરક વનસ્પતિ અંતઃસ્રાવનું ઉદાહરણ આપો.

ઉત્તર : વૃદ્ધિપ્રેરક વનસ્પતિ અંતઃસ્રાવ:-  ઑક્ઝિન, જીબરેલીન, સાયટોકાઈનીન

પ્રશ્ન 4. કોઈ આધારની ચોતરફ વૃદ્ધિ કરવામાં ઑક્ઝિન કઈ રીતે કૂંપળને મદદરૂપ થાય છે?

ઉત્તર : ઓક્ઝિન વૃદ્ધિપ્રેરક અંતઃસાવ છે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે કૂંપળ આધારના સંપર્કમાં આવે છે ત્યારે આધારથી દૂર રહેલા કૂંપળના ભાગમાં ઓક્ઝિન ઝડપી વૃદ્ધિ પ્રેરે છે. આ કારણે કૂંપળ આધારની ચોતરફ વૃદ્ધિ પામી વીંટળાય છે.

પ્રશ્ન 5. જલાવર્તન દર્શાવતા પ્રયોગની રૂપરેખા તૈયાર કરો. 

ઉત્તર : પાણીની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે. 

પ્રયોગ :- જલાવર્તન દર્શાવવું.

સાધનો :- કાચનાં બે પાત્ર, માટીનો પ્યાલો

પદાર્થો :- માટી, બે છોડ, પાણી

પદ્ધતિ :- કાચનાં બે પાત્ર (A) અને (B) લઈ, તેમાં લગભગ ત્રીજા ભાગ સુધી માટી ભરો. બંને પાત્રમાં એક જ વનસ્પતિની બે સરખી કલમ રોપો. પાત્ર (A) ની માટી ભેજયુક્ત અને પાત્ર (B) ની માટી સૂકી રાખો. પરંતુ પાત્ર (B) માં પાણી ભરેલો માટીનો પ્યાલો આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવો. પાત્ર (A) માં દરરોજ થોડું પાણી ઉમેરો. પાત્ર (B) માં પાણી ઉમેરવાનું નથી. એક અઠવાડિયા પછી બંને પાત્રની માટી કાળજીપૂર્વક ખોદો અને અવલોકન તથા તારણ નોંધો.

અવલોકન :- પાત્ર (A) માં મૂળ સીધી વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે પાત્ર (B) માં મૂળ પાણી ભરેલા માટીના પ્યાલા તરફ વળે છે.

તારણ :- આ પરથી નક્કી કરી શકાય કે, મૂળની લંબાઈમાં વૃદ્ધિ પાણીના સ્રોતની દિશામાં થાય છે. અર્થાત્ મૂળ ધન જલાવર્તન દર્શાવે છે.

Intext પ્રશ્નોત્તર [ પા.પુ. પાના નં . 125 ]

std 10 science ch6

પ્રશ્ન 1. પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે?

ઉત્તર :- પ્રાણીઓમાં અંતઃસ્રાવી ગ્રંથિઓ ચોક્કસ માત્રામાં રાસાયણિક સંયોજનો અંતઃસ્રાવોનો સ્રાવ કરે છે. અંતઃસ્રાવો સીધા રુધિરમાં ભળી જઈ, રુધિર પરિવહન દ્વારા તેમના લક્ષ્ય (કાર્ય) સ્થાન સુધી પહોંચે છે. શરીરના ચોક્કસ કોષો અંતઃસાવ સાથે જોડાણ કરવા વિશિષ્ટ ગ્રાહી અણુઓ ધરાવે છે. અંતઃસ્રાવ આ અણુ સાથે જોડાઈ માહિતીનું વહન કરે છે. આ રીતે પ્રાણીઓમાં રાસાયણિક સંક્લન થાય છે.

પ્રશ્ન 2. આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે?

ઉત્તર :- થાઇરૉઇડ ગ્રંથિમાંથી થાઇરૉક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. તે આયોડિનયુક્ત અંતઃસ્રાવ છે. આયોડિનની ઊણપથી થાઇરૉક્સિન અંતઃસ્રાવ બનતો નથી. તેના પરિણામે થાઇરૉઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારો થાય છે. ગળાનો ભાગ ફૂલી જાય છે અને ગૉઇટર રોગ થાય છે. આયોડિનયુક્ત મીઠું થાઇરૉઇડ ગ્રંથિમાં થાઇરૉક્સિનના સંશ્લેષણ માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે છે. આથી ગોઇટરથી બચવા આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ  આપવામાં આવે છે.

પ્રશ્ન 3. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે?

ઉત્તર :- એડ્રીનાલિન અંતઃસ્રાવ આપણા શરીરને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે છે. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે શરીરમાં નીચેના પ્રતિચાર દર્શાવાય છે. હૃદયના ધબકારા ઝડપી થાય, શ્વાસોચ્છ્વાસનો દર વધે, રુધિરના દબાણમાં વધારો થાય, કંકાલસ્નાયુ વધારે સક્રિય બને, વગેરે. આ બધાને ‘લડવાની કે દોડવાની ક્રિયાના’ પ્રતિભાવ કહે છે.

પ્રશ્ન 4. મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે?

ઉત્તર :- માનવશરીરના રુધિરમાં શર્કરા (ગ્લુકોઝ) નું નિયત પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. મધુપ્રમેહ (ડાયાબિટીસ) ના દર્દીમાં ઇન્સ્યુલિનની ઊણપને લીધે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય છે. રુધિરમાં શર્કરાનું વધારે પ્રમાણ અનેક હાનિકારક અસરોનું કારણ બને છે. આ હાનિકારક અસરોથી દર્દીને બચાવવા રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન જરૂરી બને છે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. આથી મધુપ્રમેહ (ડાયાબિટીસ) ના દર્દીને ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન આપવામાં આવે છે.

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

std 10 science ch6

1. નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ?

(a) ઇન્સ્યુલિન (b) ઇસ્ટ્રોજન (c) થાઇરોક્સિન (d) સાયટોકાઇનિન

ઉત્તર :- (d) સાયટોકાઇનિન

2. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ‘ખાલી ભાગ’ને  _____ કહે છે.

(a) શિખાતંતુ (b) ચેતોપાગમ (c) અક્ષતંતુ (d) આવેગ

ઉત્તર :- (b) ચેતોપાગમ

3. મગજ _____ જવાબદાર છે.

(a) વિચારવા માટે (b) હૃદયના સ્પંદન માટે (c) શરીરનું સમતુલન જાળવવા માટે (d) આપેલ તમામ

ઉત્તર :- (d) આપેલ તમામ

4. આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? એવી સ્થિતિ પર વિચાર કરો, જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી. કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે?

ઉત્તર :- શરીરમાં ગ્રાહીઓનું કાર્ય :- તે આપણી આસપાસના પર્યાવરણમાં થતા ફેરફારની માહિતી ઉત્તેજનારૂપે ગ્રહણ કરે છે. આ માહિતીને ઊર્મિવેગ સ્વરૂપે સંવેદી ચેતા મારફતે મધ્યસ્થ ચેતાતંત્રમાં મોકલે છે. આથી શરીર પ્રતિચાર દર્શાવે છે. જો ગ્રાહીઓ યોગ્ય રીતે કાર્ય ન કરતા હોય, તો બાહ્ય ઉત્તેજના ગ્રહણ થઈ શકે નહીં. આથી આપણું શરીર પ્રતિચાર દર્શાવી શકે નહીં.

5. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેનાં કાર્યોનું વર્ણન કરો.

ઉત્તર :-

ચેતાકોષનું કાર્ય :- ચેતાકોષના શિખાતંતુની ટોચના છેડા માહિતી મેળવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઊર્મિવેગ (વીજ – આવેગ) ઉત્પન્ન કરે છે. આ ઊર્મિવેગ શિખાતંતુથી કોષકાય અને પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે. અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાંક રસાયણો ચેતોપાગમ પસાર કરી, તેની પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઊર્મિવેગનો પ્રારંભ કરે છે. આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બાજા સુધી ઊર્મિવેગ સ્વરૂપે માહિતીના વહન માટે વિશિષ્ટીકરણ પામેલા છે.

6. વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે?

ઉત્તર :-

7. કરોડરજ્જુમાં ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે?

ઉત્તર :- કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચેના સંકેતો ખલેલ પામે છે. (1) પરાવર્તી ક્રિયા થતી નથી.(2) શરીરનાં વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઊર્મિવેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી.(૩) મગજમાંથી શરીરનાં વિવિધ અંગો તરફ જતા ચાલક (પ્રેરક) ઊર્મિવેગ કરોડરજ્જુમા પસાર થઈ શકતા નથી.

8. વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે?

ઉત્તર :- વનસ્પતિઓમાં રાસાયગિક સંકલન અંતસ્ત્રાવો દ્વારા થાય છે. તેઓ વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેઓ સાદા પ્રસરણ દ્વારા તેમના સંશ્લેષણ – સ્થાનથી કાર્યસ્થાન સુધી પહોંચી રાસાયણિક સંકલનમાં મદદરૂપ થાય છે.

9. સજીવમાં નિયંત્રણ અને સંકલન તંત્રની શું જરૂરિયાત છે?

ઉત્તર :- બહુકોષી સજીવોમાં શરીરનું આયોજન જટિલ હોય છે. વિવિધ પેશી અને અંગો જુદાં જુદાં વિશિષ્ટ કાર્ય કરે છે. તેથી બધાં અંગો યોગ્ય રીતે ભેગા મળી સંકલિત રીતે કાર્ય કરે તે માટે નિયંત્રણ અને સંકલન તંત્ર જરૂરી છે. આથી મનુષ્ય શરીરમાં નિયંત્રણ અને સંક્લન માટે ખૂબ વિકસિત ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર વિકાસ પામ્યાં છે.

10. અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે?

ઉત્તર :- અનૈચ્છિક ક્રિયાઓ → આ ક્રિયાઓ પશ્ચમગજના લંબમજ્જા વડે નિયંત્રિત થાય છે. → આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે. → આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે. દા.ત. હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસ, પરિસંકોચન વગેરે. → તે ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયાઓ છે.

પરાવર્તી ક્રિયાઓ → આ ક્રિયાઓ સામાન્ય રીતે કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે. → આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી. → આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે. દા.ત. ગરમ વસ્તુ અડકતાં હાથ પાછો ખેંચી લેવો. → તે અત્યંત ઝડપી ક્રિયા છે.

11. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા અને અંતઃસ્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો.

ઉત્તર :- પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિ :- → ચેતા ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ ચેતાકોષ છે. → શિખાતંતુ ઊર્મિવેગ સર્જે છે અને આ ઊર્મિવેગ કોષકાય દ્વાર અક્ષતંતુના છેડા સુધી વહન પામે છે. → ચેતા ક્રિયાવિધિ ઝડપી હોય છે. → તેની અસર ટૂંકા ગાળાની હોય છે. → ઊર્મિવેગ અન્ય ચેતાકોષ, ગ્રંથિ કે સ્નાયુકોષોને પ્રાપ્ત થાય છે.

પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્રાવ ક્રિયાવિધિ :-  → અંતસ્ત્રાવ ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ અંતઃસ્રાવ છે. → અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્રાવ સ્ત્રવે છે અને રુધિર-પરિવહન દ્વારા વહન પામે છે. → અંતસ્ત્રાવ ક્રિયાવિધિ ધીમી હોય છે. → તેની અસર લાંબા ગાળાની હોય છે. → જે લક્ષ્ય કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહી અણુઓ હોય તેમને અંતસ્ત્રાવ વડે માહિતી પ્રાપ્ત થાય છે.

12. લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિનની રીતમાં શુ ભેદ છે?

ઉત્તર :- લજામણી વનસ્પતિમાં હલનચલન :-  → તે સ્પર્શના પ્રતિચારરૂપે થાય છે. → આ હલનચલનમાં ચેતા સંદેશા સંકળાયેલા હોતા નથી. → આ હલનચલન માટે વનસ્પતિકોષોમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતા નથી. → વનસ્પતિકોષો તેમાં રહેલ પાણીની માત્રામાં ફેરફાર કરી આકારમાં ફેરફાર કરે છે.

આપણા પગમાં થનારી ગતિ :- → તે જરૂરિયાત મુજબ થતી ઐચ્છિક ક્રિયા છે. → આ ગતિમાં નાના મગજમાંથી આવતા ચેતા સંદેશા સંકળાયેલા હોય છે. → આ ગતિમાં પગના સ્નાયુકોષોના વિશિષ્ટ પ્રોટીન ભાગ લે છે. → આ ગતિમાં ઊર્મિવેગની અસરથી ચોક્કસ પ્રોટીનના આકાર અને ગોઠવણીમાં ફેરફાર થતાં સ્નાયુકોષો ટૂંકા થાય છે.


std 10 science ch6

વિચાર વિસ્તાર અને નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3

Plz share this post

Leave a Reply