ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-11 ભારત : જળ સંસાધન

std10 social science ch11

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 11 ભારત : જળ સંસાધન (std10 social science ch11) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.std10 social science ch21

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

std10 social science ch11

(1) જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો.

ઉત્તર :- જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે :

→ જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે.

→ બીજી જરૂ૨ જળસંચયની છે. જળસંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્મામાણ, વધારાનું જળ ધરાવતા નદી-નાળાથી આ જળ ધરાવતા નદી- બેસિનમાં જળનું સ્થાનાંતર અને ભૂમિગત જળસ્તરને ઉપર લાવવાના પ્રયાસોની જરૂર છે.

→ જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તાર માટે તેની  ફાળવળી થાય એ જોવાની સરકારની ફરજ છે.

→ આ અંગે કોઇ આંતરરાજ્ય જળવિવાદ હોય તો તેનો જલદીથી ઉકેલ લાવવો જરૂરી છે.

→ જળ સંસાધનોની જાળવણી માટે ‘જળપ્લાવિત ક્ષેત્રોનો વિકાસ’ અને ‘વૃષ્ટિજળ સંચય’ બહુ અગત્યના ઉપાયો છે.

(2) ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો.

ઉત્તર :- ભારતમાં કેટલાંક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર જળસંકટ સર્જાયું છે, જે નીચે પ્રમાણે છેઃ

→ ભારતમાં પાણી-પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે.

→ પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતનાં શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશમાં પશ્ચિમઘાટના આંતરિક ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા છે.

→ ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તીવધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે.

→ આજે પણ ભારતમાં 8 ટકા શહેરોમાં અને લગભગ 50 ટકા ગામડાંમાં પીવાલાયક પાણીની અછત છે.

→ પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે.

→ આ ઉપરાંત, અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે.

(3) વૃષ્ટિ જળ સંચયના વિશેની માહિતી આપો.

ઉત્તર :- ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિજળ સંચય કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે, તેનાથી ભૂમિમાં જળ-સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે. સંચિત વૃષ્ટિજળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે.

‘વૃષ્ટિજળ સંચય’ના મુખ્ય હેતુઓ (ઉદ્દેશો) નીચે મુજબ છે :

→ પાણીની વધતી જતી માંગ પૂરી કરવી.

→ સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું.

→ સડકમાર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.

→ ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવી.

→ ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો.

→ ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પોંહચી વળવું.

→ મોટાં શહેરોમાં બહુમાળી મકાનોનાં ધાબાં (અગાશી) કે છાપરાં પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટાં વરસાદી ટાંકાં બનાવવાં.

વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું. ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદી, નાની નાની નદીઓ પર બંધારો બાંધવા વગેરેનો સમાવેશ થાય છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :

std10 social science ch11

(1) બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો.

ઉત્તર :- નદીઓ પર બંધ બાંધી મોટાં જળાશયો બનાવવાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂરનિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય-ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજનાઓ કહે છે.

બહુહેતુક યોજનાઓના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે :

→ બંધોથી બનેલાં જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત-ઉત્પાદન વધારવું.

→ બંધોના પાણી દ્વારા જળવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો.

→ ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું.

→ નદીઓમાં આવતાં વિનાશક પૂરને અંકુશમાં લઈ નદીકાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી.

→ જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતિરક જળમાર્ગો વિકસાવવા.

→ બંધોથી રચાયેલાં જળાશયોમાં મત્સ્યકેન્દ્રો ઊભાં કરવાં અને મત્સ્યોદ્યોગ વિકસાવવો.

→ નદીના કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્ય જીવ સંરક્ષણ કરવું.

→ લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો.

→ જળાશયોમાંથી આજુબાજુનાં શહેરો અને ગામડાંને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું.

→ બંધો પાસે બાગબગીચા બનાવી મનોરંજન માટે સહેલગાહનાં રમણીય સ્થળો ઊભાં કરવાં.

(2) સિંચાઈક્ષેત્રના વિતરણ વિશે લખો,

ઉત્તર :- ભારતમાં આંધ્ર પ્રદેશના તટીય જિલ્લાઓ; મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુખત્રિકોણપ્રદેશો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.

→ સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ-ક્ષેત્ર લગભગ ચાર ગણું વધ્યું છે.

→ ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38 % છે. ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે.

→ મિઝોરમમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8 % છે.

→ કુલ સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે.

→ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કશ્મીર, લડાખ, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.

std10 social science ch11

(1) ભૂમિગત જળના ઉપયોગો જણાવો.

ઉત્તર :- ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, ઘરવપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે.

(2) જળ વ્યવસ્થાપનમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ ?

ઉત્તર :- જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. 

→ બગીચાના છોડને પાણી પાવા માટે, વાહનો ઘોવા માટે, નાહવા ધોવા માટે, શૌચાલયોમાં તથા વાશ-બેસિનોમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી.

→ જળ-સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ.

→ જળાશયોને પ્રદૂષણથી બચાવવાં જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં વર્ષો લાગી જાય છે.

→ ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા.

→ ભૂમિગત જળનો ઉપયોગ કરતાં એકમો પર દેખરેખ રાખવી.

→ કૂવા, ટ્યૂબવેલ, ખેત-તલાવડી જેવાં જળ સ્ત્રાવનાં એકમોનો ઉપયોગ વધારવો.

→ પાણી-પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થયે તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી તેમાં નુકસાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી બહાર વહી જતું અટકે.

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

std10 social science ch11

(1) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત કયો છે ?

(A) વૃષ્ટિ

(B) તળાવો

(C) નદીઓ

(D) સરોવરો

ઉત્તર :- (A) વૃષ્ટિ

(2) નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો.

(1) ભાખરા-નાંગલ      (a) બિહાર

(2) કોસી                     (b) પંજાબ

(3) નાગાર્જુન સાગર   (c) ગુજરાત

(4) નર્મદા                  (d) આંધ્રપ્રદેશ

(A) (1 – b), (2 – a), (3 – c), (4 – d)

(B) (1 – b), (2 – a), (3 – d), (4 – c)

(C) (1 – d), (2 – e), (3 – b), (4 – a)

(D) (1 – c), (2 – d), (3 – a), (4 – b)

ઉત્તર :- (B) (1 – b), (2 – a), (3 – d), (4 – c)

(3) નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

(A) ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે.

(B) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.

(C) જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.

(D) પંજાબ અને હરિયાણા સિંચાઈક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે.

ઉત્તર :- (B) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.

(4) વર્ગખંડમાં ‘ખેત તલાવડી’ વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન

(A) જય : તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે.

(B) યશ : તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે.

(C) યુગ : તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનીક છે.

(D) દક્ષ : તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે.

ઉત્તર :- (D) દક્ષ : તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે.

(5) નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે ?

(A) ચંબલ ખીણ, ભાખરા-નાંગલ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર

(B) ભાખરા-નાંગલ, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ

(C) નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખરા-નાંગલ

(D) ભાખરા-નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર

ઉત્તર :- (D) ભાખરા-નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

 

 

 

 

 

 

Plz share this post

Leave a Reply