std 9 social science ch 17 ધો.9 સા.વિ. પ્ર -17 કુદરતી વનસ્પતિ

std 9 social science ch 17

ધો.9 સામાજિક વિજ્ઞાન પ્ર – 17 કુદરતી વનસ્પતિ (std 9 social science ch 17) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો : std 9 social science ch 17

(1) ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે ?

ઉત્તર :- ભારતની કુદરતી વનસ્પતિનું સર્જન આ પરિબળોથી થાય છે : (1) ભૂપૃષ્ઠ, (2) જમીન, (૩) તાપમાન તથા ભેજ, (4) સૂર્યપ્રકાશ અને (5) વરસાદનું પ્રમાણ.

→ ભારતનું ભૂપૃષ્ઠ પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, દરિયાકિનારાનાં મેદાનો અને રણપ્રદેશોનું બનેલું છે. ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.

→ ભારતમાં કાંપની, રાતી, કાળી, પહાડી અને રેતાળ એવી પાંચ પ્રકારની જમીન છે. જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.

→ ભારતમાં હિમાલયના બરફાચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાઈ છે.

→ સુર્યપ્રકાશની અસર પતિની વૃદ્ધિ પર થાય છે. વધુ સૂર્યપ્રકામ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે.

→ ભારતમાં વરસાદ એક્સરખો વરસતો નથી. ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક 10 થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે. આમ, વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવ મળે છે.

(2) જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ શું છે ?

ઉત્તર :- જંગલોની પર્યાવરણીય મહત્ત્વ (ઉપયોગિતા) નીચે પ્રમાણે છેઃ

→ જંગલો વાતાવરણને ઠંડું રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.

→ જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે.

→ જંગલો હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઑક્સિજન વાયુ આપે છે.

→ નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે.

→ તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે.

→ તે રણને આગળ વધતું અટકાવી, ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે.

→ જંગલો ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે.

→ જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સમતુલા જાળવી રાખે છે.

→ તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.

→ તે હવાને શુદ્ધ રાખે છે.

→ તે વન્ય જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે.

→ જંગલો ‘સાહસિક – પ્રવાસન પ્રવૃત્તિ’ માટે આદર્શ ક્ષેત્રો છે.

→ ભારતમાં કેટલાંક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યાં છે.

(3) જંગલ વિનાશનાં કારણો કયાં કયાં છે ?

ઉત્તર :- જંગલોનો સૌથી વધુ વિનાશ માનવી કરે છે. જંગલોના વિનાશ માટેનાં કારણો :

→ દેશનો વસ્તીવધારો

→ ઉદ્યોગોને શહેરોના રહેણાક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ

→ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ

→ નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન

→ બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ

→ રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ

→ ઇમારતો અને બળતણ માટે લાકડાં મેળવવાની પ્રવૃત્તિ

→ ‘ઝૂમ’ પદ્ધતિની ખેતી (સ્થળાંતરિત ખેતી

→ જંગલવાસીઓની ગરીબી

→ ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી

→ ઉદ્યોગો માટે જંગલપેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક

→ આ ઉપરાંત, દાવાનળ જંગલવિનાશનું કારણ છે.

(4) જંગલ વિનાશની અસરો કઈ કઈ છે ?

ઉત્તર :- જંગલોના આડેધડ વિનાશથી –

→ પ્રદૂષણમાં વધારો થવો

→ વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો

→ દુષ્કાળ પડવા

→ ગ્લોબલ વૉર્મિંગ (Global Warming) – વૈશ્વિક તાપવૃદ્ધિ થવી

→ ગ્રીનહાઉસ ઇફેક્ટ (Greenhouse Effect) – હરિતગૃહ પ્રભાવની સમસ્યા સર્જાવી

→ રણવિસ્તારોમાં વધારો થવો

→ વન્ય જીવો નિરાશ્રિત થવા

→ જમીનનું ધોવાણ થવું

→ નદીઓમાં પૂર આવવાં

→ કેટલાંક વન્ય પ્રાણીઓ લુપ્ત થવાં

→ પ્રાકૃતિક સૌંદર્યનો હ્રાસ થવો વગેરે માઠાં પરિણામો આપણા પર્યાવરણને ભોગવવાં પડ્યાં છે.

(5) ‘ઉષ્ણ કટીબંધીય જંગલોને નિત્ય લીલાં જંગલો કહે છે.” – શા માટે ?

ઉત્તર :- ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો બારે માસ લીલાં રહેતાં હોવાથી તેને ‘નિત્ય લીલાં જંગલો’ કહે છે.

2. નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તર લખો :

std 9 social science ch 17

(1) ભારતના જંગલોના પ્રકાર જણાવો.

ઉત્તર:- ભારતનાં જંગલો(કુદરતી વનસ્પતિ)ના પાંચ પ્રકારો છેઃ 1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો, 2. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો, ૩. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો, 4. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદાનો (હિમાલયની વનસ્પતિ) અને 5. ભરતીનાં જંગલો (મેન્સ્ટ્રુવ જંગલો).

1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો :

( i ) વિતરણ : ભારતમાં આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા, વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદ અને 22 સે કરતાં વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આવેલા છે.

 → ભારતમાં તે પશ્ચિમઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર ટાપુઓ, અસમની ઉપરના વિસ્તારો અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે.

( ii ) વૃક્ષો : મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર વગેરે અહીંનાં મુખ્ય વૃક્ષો છે.

 (iii) વિશેષતાઓ : (1) અહીંનાં વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે. (2) ઝાડી-ઝાંખરાંના કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે. (૩) આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી. (4) તે બારે માસ લીલા રહે છે, તેથી તેમને નિત્ય લીલા જંગલો’ પણ કહે છે.

(5) અહીંનાં વૃક્ષોનાં થડ જાડાં તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય છે.

2. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો :

( i ) વિતરણ : ભારતમાં આ પ્રકારનાં જંગલો 70થી 200 સેમી વરસાદ મેળવતાં ઉત્તર-પૂર્વીય રાજ્યો, હિમાલયની તળેટીનો પ્રદેશ, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમઘાટના પૂર્વીય ઢોળાવો અને વિંધ્ય તથા સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે.

( ii ) વૃક્ષો : સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે અહીંનાં મહત્ત્વનાં વૃક્ષો છે.

(iii) વિશેષતાઓ : અહીંનાં વૃક્ષો પાનખર ઋતુમાં 6થી 8 અઠવાડિયાં દરમિયાન પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાખે છે. તેથી આ જંગલો ‘ખરાઉ જંગલો’ કહેવાય છે.

→ દરેક પ્રજાતિનાં વૃક્ષોનાં પાન ખેરવવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે. તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ જતું નથી.

→ આ જંગલોનાં વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતાં હોવાથી તેને ‘મોસમી જંગલો’ પણ કહે છે.

3. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો :

( i ) વિતરણ : ભારતમાં આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે.

→ આ પ્રકારનાં જંગલો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમઘાટના વર્ષાછાયાના કેટલાક વિસ્તારોમાં આવેલાં છે.

( ii ) વૃક્ષો : ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે અહીંનાં વૃક્ષો છે.

(iii) વિશેષતાઓ : આ વનસ્પતિનાં મૂળ લાંબાં, ઊંડાં અને પાણી મેળવવા માટે વર્તુળની ત્રિજ્યાઓની જેમ ચોતરફ ફેલાયેલાં હોય છે.

→ તેમનાં પાન નાનાં હોય છે, જેથી લાંબી સૂકી ઋતુમાં બાષ્પનિષ્કાસનની ક્રિયા મંદ થાય છે.

→ અહીંનાં જંગલોમાં વૃક્ષો છૂટાંછવાયાં હોય છે.

4. શંકુદ્રુમ જંગલોની વિશેષતાઓ :

→ અહીંનાં વૃક્ષો શંકુ આકાર ધરાવે છે.

→ વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે.

→ વૃક્ષોનાં પાન લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે. તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે.

→ વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે. તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે.

→ આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણાં વર્ષો લાગે છે.

5. ભરતીનાં જંગલો (મેન્ગ્રેવ જંગલો) :

( i ) વિતરણ : આ જંગલો દરિયાકિનારે નદીઓના : મુખત્રિકોણપ્રદેશોમાં આવેલાં છે.

→ ભારતમાં તે બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશ(સુંદરવન)માં તેમજ ગુજરાતના દરિયાકિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર જોવા મળે છે.

( ii ) વૃક્ષો : સુંદરી અને ચેર અહીંનાં મુખ્ય વૃક્ષો છે.

(2) જંગલોની ઉપયોગિતા લખો.

ઉત્તર :- (અ) જંગલોની વન્ય પેદાશો સંદર્ભે ઉપયોગિતા : → જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવાં મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડાં મળે છે.

→ બાવળ અને ખેર જેવાં વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે.

→ દેવદાર અને ચીડ જેવાં શંકુ આકારનાં વૃક્ષોના પોચા લાકડામાંથી ચા અને દવાના પૅકિંગની પેટીઓ, રમતગમતનાં સાધનો, દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા (Synthetic fibres) વગેરે ચીજો બને છે.

→ વાંસમાંથી કાગળ અને રેયાન તેમજ ટોપલા, ટોપલી, રમક, સાદી અને સહ-સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે.

→ સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડાની હોડી બને છે.

→ કર્ણાટકનાં જંગલોમાં થતાં ચંદનનાં વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું (સુખડ) તેમજ સુખડનું તેલ મળે છે.

→ ખેરના લાકડામાંથી કાવો મળે છે.

→ ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસનાં પાનમાંથી ઔષધીય તેલ મળે છે.

→ સર્પગંધા, અશ્વગંધા, સિંકોના, શંખાવલી, સરગવો, ગરમાળી, હરડે, બહેડાં, આંબળાં વગેરે વનસ્પતિ ઔષધો આપે છે.

→ તાડ-ખજૂરીનાં પાનમાંથી સાવરણી, ખાખરાનાં પાનમાંથી પાતળ- પડિયા અને ટીમરુનાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.

→ જંગલની કેટલીક ગૌણ પેદાશોમાં રબર, લાખ, રાળ, મધ, ગુંદર અને નેતરનો સમાવેશ થાય છે. લાખનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે.

→ જંગલોમાંથી વિવિધ પ્રકારનાં ફળો પણ મળે છે.

(બ) જંગલોનું પર્યાવરણીય ઉપયોગિતા (મહત્વ)

 જંગલોની પર્યાવરણીય મહત્ત્વ (ઉપયોગિતા) નીચે પ્રમાણે છેઃ  → જંગલો વાતાવરણને ઠંડું રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.

→ જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે.

→ જંગલો હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઑક્સિજન વાયુ આપે છે.

→ નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે.

→ તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે.

→ તે રણને આગળ વધતું અટકાવી, ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે.

→ જંગલો ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે.

→ જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સમતુલા જાળવી રાખે છે.

→ તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.

→ તે હવાને શુદ્ધ રાખે છે.

→ તે વન્ય જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે.

→ જંગલો ‘સાહસિક – પ્રવાસન પ્રવૃત્તિ’ માટે આદર્શ ક્ષેત્રો છે.

→ ભારતમાં કેટલાંક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યાં છે.

(3) જંગલોના જતન માટેના ઉપાયો સ્પષ્ટ કરો.

ઉત્તર :- જંગલોના જતન માટેના ઉપાયો : ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈ. સ. 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી. એ પછી ઈ. સ. 1980માં ભારતની સંસદે વનસંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ઈ. સ. 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી.

→ જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી.

→ વૃક્ષછેદન પ૨ કડક નિયંત્રણો મૂકવાં અને ગેરકાયદે વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી.

→ વનમહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું.  

→ જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો.

→ શાળા-કૉલેજોમાં પર્યાવરણ શિક્ષણ, પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગરૂકતા લાવવી.

→ ‘વિશ્વ વનદિન’ અને ‘વિશ્વ પર્યાવરણદિન’ જેવા પર્યાવરણલક્ષી દિન ઊજવવા.

→ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી.

→ ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર-ઊર્જા, બાયો-ઊર્જા, પવન-ઊર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેનાં સાધનો ખરીદવા મદદ કરવી.

→ પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી, લોકજાગૃતિ લાવવી.

3. નીચે આપેલ પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો :

std 9 social science ch 17

(1) વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

(A) પ્રથમ

(B) ચોથું

(C) દસમું

(D) પાંચમું

ઉત્તર :- (C) દસમું

(2) નીચે આપેલ વિધાનોમાં ક્યું વિધાન અયોગ્ય છે ?

(A) ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં ભરતીનું જંગલ આવેલું છે.

(B) ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે.

(C) સુંદરીનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગમાં આવે છે.

(D) હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે.

ઉત્તર :- (D) હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે.

(3) સાચાં જોડકાં જોડો. :

                  અ                                         બ
(A) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો  1. ચેર
(B) ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો   2. દેવદાર
(C) ભરતીનાં જંગલો                         3. બાવળ
(D) શંકુદ્રુમ જંગલો                            4. મહોગની

(A) A – 3 B – 4 C -1 D – 2

(B) A – 4 B – 3 C – 1 D – 2

(C) A – 4 B – 3 C – 2 D – 1

(D) A – 4 B – 2 C – 3 D – 1

ઉત્તર :- (B) A – 4 B – 3 C – 1 D – 2

(4) ચીડના રસમાંથી શું બને છે ?

(A)કાથો

 (B) ટર્પેન્ટાઇન

 (C) લાખ

 (D) ગુંદર

ઉત્તર :- (B) ટર્પેન્ટાઇન


આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.

પ્ર-1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્ર – 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો


youtube logo

Plz share this post

Leave a Reply