ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-21 સામાજિક પરિવર્તન

std10 social science ch21

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 21 સામાજિક પરિવર્તન (std10 social science ch21) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.std10 social science ch21

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

std10 social science ch21

(1) ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

ઉત્તર :- સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ બાળ અધિકારોમાં નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છે :

→ જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે.

→ માતાપિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કરવું. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેનાં માતાપિતાથી અલગ કરી શકાય નહિ.

→ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.

→ દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે.

→ બાળકોને તેમના વયજૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે.

→ દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે.

→ દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્તિ કરવાનો, મંડળો રચવાનો અને તેના સભ્ય બનવાનો અધિકાર છે. દા. ત., બાળસંસદ

→ દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક અથવા માનસિક હિંસા, શોષણ અને યાતના સામે તેમજ નશીલી દવાઓના ઉપયોગ સામે તથા શિક્ષા કે દંડ સામે રક્ષણ તેમજ સલામતી મેળવવાનો અધિકાર છે.

→ દરેક બાળકને પોતાના શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવનસ્તર મેળવવાનો અધિકાર છે.

(2) વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમનાં રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો.

ઉત્તર :- વૃદ્ધોની સમસ્યાઓ : પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભૌતિકવાદની અસરો તેમજ વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાને કા૨ણે આજનાં સંતાનો વૃદ્ધ માતાપિતા પ્રત્યેની તેમની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવમૂલ્યો ભૂલી ગયાં છે.

→ પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત અને નિઃસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે.

→ સંયુક્ત કુટુંબોમાં રહેતા વૃદ્ધોની સારસંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે.

→ સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતાં જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે.

→ સંતાનોની વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંવેદનાહીન અને લાગણીશૂન્ય વ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને ‘ઘરડાંઘરો’(વૃદ્ધાશ્રમો)માં રહેવા જવાની ફરજ પડે છે.

→ આમ, ઉપર દર્શાવેલી સમસ્યાઓને કારણે નિઃસહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.

વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ – સલામતી માટે સરકારે લીધેલાં પગલાં નીચે પ્રમાણે છે :

→ કેન્દ્ર સરકારે ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ – 1999′ અમલમાં મૂકી છે. આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શનરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે.

→ સીનિયર સિટિઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બૅન્ક અને પોસ્ટ- ઑફિસમાં મૂકેલી ડિપૉઝિટ ૫૨ વધુ વ્યાજ આપવામાં આવે છે.

→ બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી-પુરુષોને ટિકિટના દરમાં 30થી 50 % સુધીની રાહત આપવામાં આવે છે.

→ રાજ્ય સ૨કારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ઘરડાંઘર’(વૃદ્ધાશ્રમ) ખોલ્યું છે.

→ વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

→ શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે.

→ ઘરેલું હિંસા, શોષણ અને અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે ‘માતાપિતા અને સીનિયર સિટિઝન્સની સારસંભાળ અને કલ્યાણસંબંધી કાયદો 2007′ અમલમાં મૂક્યો છે. આ કાયદા અન્વયે વૃદ્ધોને પરેશાન કરતાં તેમનાં સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

→ વૃદ્ધોની સારસંભાળની કાયદેસર જવાબદારી તેમનાં કુટુંબીજનો અને સગાંઓ પર લાદવામાં આવી છે. આથી વૃદ્ધો તેમનાં સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર બન્યા છે.

→ કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે.

(3) માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.

ઉત્તર :- માહિતી મેળવવાના અધિકારના હેતુઓ : બધાં સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી ‘માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005′ બનાવવામાં આવ્યો છે.

માહિતી મેળવવાની પ્રક્રિયા : માહિતી મેળવવાના અધિકાર અન્વય માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં, નિર્ધારિત ફીની રકમ ₹ 20 રોકડા અથવા પોસ્ટલ ઑર્ડર કે પે-ઑર્ડર કે નૉન-જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ અરજી સાથે મોકલવાના હોય છે.

→ અરજી સ્વહસ્તાક્ષરમાં કે ટાઇપ કરેલ કાગળમાં કે ઇ મેઇલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે, ગરીબીરેખા હેઠળ(BPL)ના અરજદારે ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કર્યા કારણોસર માહિતી માગવામાં આવી છે, તેનાં કારણો જણાવવાનાં હોતા નથી.

→ અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે-તે મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIO) એ નમૂના ૫૨ અરજીનો ક્રમાંક (ID નંબર) લખીને તેની એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્રવ્યવહારનો ID ક્રમાંક પણ લખવાનો હોય છે.

→ માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી(APIO)એ અરજીનો નિકાલ કરવાનો હોય છે. અરજદારે કોઈ નકલ કે નમૂના માગ્યા હોય, તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય, અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો તથા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય, તો એ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે.

→ જે-તે વિભાગ 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઇન્કાર કરે, તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમયમર્યાદમાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે.

(4) બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.

ઉત્તર :- કેન્દ્ર સરકારે ઈ. સ. 2009માં 6થી 14 વર્ષની વય- જૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. એ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012ના રોજ ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો – 2012′ અમલમાં મુક્યા હતા.

→ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે :

→ 6થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇન્કાર થઈ શકશે નહિ.

→ 14 વર્ષ પૂરાં થયાં હોય તોપણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફ્ત શિક્ષણ આપવું.

→ શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હૉસ્પિટલનો રેકર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતાપિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે.

→ કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો.

→ પ્રવેશ માટે બાળકના માતાપિતા પાસેથી ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ લઈ શકાશે નહિ.

→ બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ-પરીક્ષા લેવી, બાળક અને માતાપિતાનો ઇન્ટરવ્યુ લેવો; માતાપિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકાશે નહિ.

→ 3થી 5 વર્ષની વયજૂથનાં બાળકોના શિક્ષલ માટે પ્રિ-સ્કૂલ(નર્સરી કે બાળમંદિર)નું શિક્ષવ્ર, તેનો અભ્યાસક્રમ, મુલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.

→ સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકારમાન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાંથી 25 %ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો હેશે.

→ શાળાના શિક્ષકો ખાનગી ટ્યૂશનની પ્રવૃત્તિ કરી શકશે નહિ.

→ શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે.

→ બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નિહ.

→ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં નબળા વર્ગોનાં પછાત વર્ગોના અને ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે.

→ આ કાયદાની જોગવાઈઓનું પાલન કરાવવા માટે સરકારે એક અલગ વ્યવસ્થાતંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે.

→ આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.

(5) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચા.

ઉત્તર:- કેન્દ્ર સરકારે 5 જુલાઈ, 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા (RTF) કાયદો પસાર કર્યો. આ કાયદાની અનાજસંબંધી, વિવિધ સંવર્ગોને અનાજ વિતરણસંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ નીચે પ્રમાણે છે :

→ આ કાયદા મુજબ તથા “મા અન્નપુર્ણા યોજના’ મુજબ રાજ્યનાં શહેર કે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. તદુપરાંત, રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે.

→ આ યોજના હેઠળના તમામ લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં  2 પ્રતિકિલો, ચોખા  ૩ પ્રતિકિલો અને જાડું અનાજ  1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.

→ આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાયરૂપે ₹ 6,000 આપવામાં આવશે.

→ આ કાયદા હેઠળ રાજ્ય સરકાર તમામ લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં ‘અન્ન સુરક્ષા ભથ્થું’ મેળવવા હકદાર બનાવી શકાય છે.

→ આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય અને ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોને દર માસે નિયત માત્રામાં ખાંડ, આયોડાઇઝ મીઠું અને કેરોસીન તથા વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહતદરે વાજબી ભાવની દુકાનો દ્વારા આપવામાં આવે છે.

→ આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારો અગ્રિમ કુટુંબોની યાદીઓ સુધારીને અદ્યતન બનાવશે. એ યાદીનાં નામોની યાદીઓ દરેક કુટુંબની મહિલાના નામે ગ્રામપંચાયતોની ગ્રામસભાઓમાં, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની વૉર્ડસભાઓમાં, ઇ-ગ્રામ કે વાજબી ભાવની દુકાનો પર તેમજ મામલતદાર કચેરીઓમાં અને પુરવઠાની વેબ સાઇટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે.

→ જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ‘બાયોમૅટ્રિક ઓળખ’, ‘એપીક કાર્ડ’, ‘બારકોડેડ રેશનકાર્ડ’, ‘અન્ન કૂપન’ અને ‘વેબકૅમેરાથી ઇમેજ’ વગેરે પગલાં ભરવામાં આવ્યાં છે.

→ આ કાયદા મુજબ રાજ્યમાં ‘આંતરિક ફરિયાદ નિવારક તંત્ર’ ઊભું કરવું અને ફરિયાદોના નિકાલ માટે ‘નોડેલ અધિકારી’ની નિમણૂક કરવામાં આવશે.

→ રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ કરવા ‘રાજ્ય અન્ન આયોગ’ની રચના તેમજ ‘ફૂડ કમિશનર’ની નિમણૂક કરવામાં આવશે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :

std10 social science ch21

(1) સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો.

ઉત્તર :- સામાજિક પરિવર્તન : સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન ‘સામાજિક પરિવર્તન’ કહેવાય છે.

સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો : પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણને કારણે સામાજિક સંબંધો, કુટુંબવ્યવસ્થા, લગ્નપ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિતકલા વગેરેમાં પરિવર્તનો આવ્યાં છે, જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે.

→ ભૌતિક ચીજવસ્તુઓ, મોજશોખનાં ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતાં વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યાં છે.

→ રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જીવનધોરણમાં પરિવર્તન આવ્યું છે.

→ આમ, મુખ્યત્વે શહેરીકરણ; સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવાં પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે.

(2) કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી બની છે ?

ઉત્તર :- કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી નીચેનાં કારણોસર જરૂરી છે :

→ જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ, તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકીએ.

→ શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવાં કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ.

→ ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય, તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ.

→ નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર બની શકીએ.

→ સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે અદા કરી, વફાદારી વ્યક્ત કરી શકીએ.

→ બંધારણે આપેલા મૂળભૂત અધિકારો-હકો ભોગવી શકીએ તેમજ મૂળભૂત ફરજો અદા કરી શકીએ.

→ કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવપ્રદ જીવન જીવી શકે છે.

→ આપણા દેશમાં કાયદાનું શાસન છે. તેથી દરેક નાગરિકને ઓછા- વત્તા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે.

(3) ‘બાળવિકાસ એ આર્થિક વિકાસની પૂર્વશરત છે’ સમજાવો.

ઉત્તર : બાળકો એ આવતી કાલના નાગરિકો છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે.

→ કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેનાં બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે.

→ જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હશે તો તેઓ સારા નાગરિકો બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકશે. આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે.

→ તેથી બાળકોનો સારી રીતે વિકાસ કરવો જોઈએ તેમજ તેમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવો જોઈએ. આમ કરીને તેમને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવી શકાય છે.

→ આથી કહી શકાય કે, બાળવિકાસ અને બાળકલ્યાણૢ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વશરત છે.

(4) ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો.

ઉત્તર :- ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો નીચે પ્રમાણે છે :

→ ભારત સરકારે ઈ. સ. 1964માં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરો’ની સ્થાપના કરી છે. આ બ્યૂરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરે છે. જો આરોપો સાચા જણાય તો તે ગુનેગારોને અદાલતી શિક્ષા કરાવે છે.

→ ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન * ટોલ ફ્રી નંબર 1800 2334 4444 પર ફરિયાદ કરી શકે છે.

→ ભારત સરકારે ઈ. સ. 1988માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ’ (કાયદો) અમલમાં મૂક્યો છે. આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે.

→ આ અધિનિયમ અનુસાર લાંચરુશવત, છેતરપિંડી, આર્થિક લાભ, ‘ પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે . દોષિત ગુનેગાર આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય છે.

→ કેન્દ્ર સરકારે માહિતી અધિકાર – 2005′ અને ‘નાગરિક અધિકારપત્ર’ નામના કાયદા અમલી બનાવ્યા છે. આ કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીએ પોતાને સોંપાયેલાં વહીવટી કાર્યો નિયત સમયમર્યાદામાં પૂરાં કરવાની બાંહેધરી આપવાની હોયછે. સરકારના આ પ્રયાસનો હેતુ પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો છે.

→ કેન્દ્ર સરકારે તાજેતરમાં બ્લેક મની ઍક્ટ – 2005′ નામનો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે.

→ આ ઉપરાંત, સ૨કા૨ે ફોરેન એક્સચેઇન્જ મૅનેજમેન્ટ ઍક્ટ’ – ફેમા- (FEMA)ના કાયદામાં ‘મની લૅન્ડરિંગ ઍક્ટ’માં અને ‘કસ્ટમ ઍક્ટની ધારા – 132’માં સુધારા કર્યા છે.

→ લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરીને સ૨કા૨ે કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે.

(5) અન્ન સલામતી વિધેયકના હેતુઓ વર્ણવો.

ઉત્તર :- અન્ન સુરક્ષા એટલે ‘દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ.’

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (Right to Food – RTF) કેન્દ્ર સરકારે 5 જુલાઈ, 2013ના રોજ અમલમાં મૂક્યો.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છેઃ :

→ દેશની વધતી જતી જનસંખ્યાની અનાજની માંગ સંતોષવી તેમજ દરેક સમયે સસ્તા દરે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું.

→ બાળકોમાં કુપોષણની સમસ્યા નિવારવા યોગ્ય પ્રબંધ કરવો તેમજ પોષણયુક્ત આહારના કુલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું.

→ અનાજ વહેંચણીની ‘જાહેર વિતરણ પ્રણાલી’(PDS)ને વધુ સંગીન, પારદર્શક અને સરળ બનાવવી.

→ અંત્યોદય કુટુંબોને અને ગરીબીરેખા હેઠળ (BPL) જીવતાં કુટુંબોને પોષણક્ષમ આહારરૂપે રાહતદરે પૂરતા પ્રમાણમાં અનાજ અને જીવનજરૂરિયાતોની અન્ય વસ્તુઓ પૂરી પાડવી.

→ ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ(ધાત્રી માતાઓ)ને પોષણક્ષમ આહારની જરૂરિયાત પૂરી પાડવી.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.

std10 social science ch21

(1) બાળશ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે ?

ઉત્તર:- ભારતમાં બાળશ્રમિકોની માંગનું પ્રમાણ વધુ હોવાનાં કારણો નીચે મુજબ છે :

→ બાળક એ શ્રમનું સૌથી સસ્તું સાધન છે. પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળશ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કામ કરાવી શકાય છે.

→ સંગઠનના અભાવે તેઓ પોતાને રોજગારીએ રાખનાર માલિકનો વિરોધ કરી શકતા નથી. તેથી બાળશ્રમિકોનું સરળતાથી, તેમને ખબર ન પડે તે રીતે, વિવિધ સ્વરૂપે શોષણ કરી શકાય છે.

→ કઠિન કે જોખમી કામોમાં પણ ઓછા વેતને અને નક્કી કરેલા કલાકોથી વધુ સમય સુધી બાળશ્રમિકો પાસેથી ડરાવીને, ધમકાવીને અને લાલચ આપીને કામ કરાવી શકાય છે.

→ બાળશ્રમિકોની સંખ્યા વધારે હોવાથી તેઓ સરળતાથી મોટી સંખ્યામાં મળી રહે છે.

→ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પૂરતી સગવડો હોતી નથી. તેથી માતાપિતા બાળકોને ભણવાની ઉંમરે કુટુંબની જરૂરિયાતોની પૂર્તિ કરવા તેમને મજૂરી કરવા ધકેલી દે છે.

(2) નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો.

ઉત્તર :- ભારતના બંધારણે દેશના નાગરિકોને નીચેના છ મૂળભૂત અધિકારો – હકો આપ્યા છેઃ

→ સમાનતાનો અધિકાર,

→ સ્વતંત્રતાનો અધિકાર,

→ શોષણવિરોધી અધિકાર,

→ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર,

→ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને

→ બંધારણીય ઇલાજોનો અધિકાર.

 [ઈ. સ. 1978માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને નાગરિકના મિલકત ધરાવવાના હકને મૂળભૂત અધિકારોમાંથી નાબૂદ કર્યાં છે. મિલકતના અધિકારને માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.]

(3) બાળમજૂરીનાં વિવિધ સ્વરૂપો વર્ણવો.

ઉત્તર :- ભારતીય અર્થતંત્રનાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં બાળશ્રમિકો કામ કરતા જોવા મળે છે. જેવાં કે, હોટલો, ફૅક્ટરીઓ, બાંધકામનાં સ્થળો, ફટાકડા ફૅક્ટરીઓ, ઈંટોના ભઠ્ઠા, ખેતરો, પશુપાલન, મત્સ્ય પ્રવૃત્તિ વગેરેમાં બાળશ્રમિકો કામ કરે છે. તદુપરાંત, ઘરનોકર તરીકે, ચાની લારીઓ, હોટલો કે ઢાબામાં, ગૅરેજોમાં, લારી ખેંચવી, અખબાર વેચાણમાં, પ્લાસ્ટિક કે ભંગાર વીણવો, ભીખ માગવી, રસ્તા પર સાફસૂફી વગેરે કામોમાં બાળમજૂરો કામ કરતા જોવા મળે છે.

(4) ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે. શા માટે ?

ઉત્તર :- ભ્રષ્ટાચાર કાળા નાણાંનું સર્જન કરે છે. એ નાણાંથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. પરિણામે ખરીદશક્તિ વધે છે.

→ ખરીદશક્તિ વધવાથી બજારમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. આની સામે ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો માંગના પ્રમાણમાં વધી શકતો નથી.

→ બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા ઊભી થાય છે.

→ આમ, અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ પુરવઠા કરતાં તેમની કુલ માંગ સતત વધે છે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં એકસાથે ઊંચા દરે વધારો થાય છે, જેથી ભાવસપાટી ઊંચે જાય છે.

→ આથી કહી શકાય કે, ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે.

(5) ‘મા અન્નપૂર્ણા યોજના’ની મહત્ત્વની જોગવાઈ જણાવો.

ઉત્તર :- ભારત સરકારે 5 જુલાઈ, 2013માં ‘રાષ્ટ્રીય અન્ન સલામતી’નો કાયદો પસાર કર્યો.

→ અન્ન સલામતી એટલે ‘દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ.

→ આ કાયદા અન્વયે ગુજરાત સરકારે ‘મા અન્નપૂર્ણા યોજના’ શરૂ કરી છે.

→ આ યોજના હેઠળ રાજ્યના શહેર કે ગ્રામ્ય વિસ્તારનાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે.

→ આ યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ, વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં  2 પ્રતિકિલો, ચોખા  ૩ પ્રતિકિલો અને જાડું અનાજ  1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.

→ યોજના અન્વયે ગુજરાતના લગભગ 3.62 કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહતદરે અનાજ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષી છે.

→ આ યોજનાનો લાભ મેળવતાં કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી ચીજવસ્તુઓ ખરીદીને પોતાનું જીવનધોરણ સારું બનાવી શકશે.

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો

std10 social science ch21

(1) ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે ?

(A) રૂઢિઓ-પરંપરાઓ

(B) લોકમત

(C) પશ્ચિમીકરણ

(D) સાક્ષરતા

ઉત્તર :- (C) પશ્ચિમીકરણ

(2) માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું ?

(A) ગ્રેટબ્રિટન

(B) સંયુક્ત રાષ્ટ્રો

(C) યુનિસેફ

(D) વિશ્વબેંક

ઉત્તર :- (B) સંયુક્ત રાષ્ટ્રો

(3) ‘વિશ્વ વૃદ્ધદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે ?

(A) 8 માર્ચ

(B) 1લી ઑક્ટોબર

(C) 1લી એપ્રિલ

(D) 15મી જૂન

ઉત્તર :- (B) 1લી ઑક્ટોબર

(4) નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે ?

(A) ચૂંટણીપંચ

(B) સરકારી યોજનાઓ

(C) ન્યાયિક ચુકાદા

(D) રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો

ઉત્તર :- (D) રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો

(5) મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે ?

(A) જન્મના દાખલા વગર પ્રવેશ

(B) ખાસ તાલીમની સુવિધા

(C) પ્રવેશ કસોટી વિના પ્રવેશ

(D) પ્રવેશ સમયે કેપિટેશન ફી

ઉત્તર :- (D) પ્રવેશ સમયે કેપિટેશન ફી

(6) જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે ?

(A) બારકોડેડ રેશનકાર્ડ

(B) એટીએમકાર્ડ

(C) બાયોમેટ્રીક ઓળખ

(D) ચૂંટણીનું ઓળખપત્ર

ઉત્તર :- (C) બાયોમેટ્રીક ઓળખ


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


 

Plz share this post

Leave a Reply